નવરાત્રિ પર્વની તૈયારીઓ તેજ થઇ રહી છે. આવતા મહિનાથી નવરાત્રિ પર્વ શરૂ થઇ રહ્યો છે. જેને લઇને પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિને લઇને દીકરીઓની સુરક્ષા માટે ખાસ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા ડો. ભરત કાનાબારની વધુ એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં તેમણે પાર્ટીપ્લોટમાં નવરાત્રિના આયોજન પર નારાજગી વ્યક્ત કરી છે.
બીજેપી નેતાએ વ્યક્ત કરી નારાજગી
નવરાત્રિમાં હાલમાં શેરી ગરબા અને પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને પાર્ટી પ્લોટમાં તો ભયંકર ભીડ જોવા મળે છે. મોટા ભાગના પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન કરાય છે. મોટા મોટા ગીતકાર આવે છે. ઇનામ તથા લકી ડ્રો જેવા આકર્ષણો પણ રાખવામાં આવે છે. ત્યારે બીજેપી નેતા ડૉ ભરત કાનાબારે પાર્ટીપ્લોટના ગરબા પર નારાજગી વ્યક્ત કરી છે.
અમરેલીને લાગ્યો ચેપ
તેમણે એક પોસ્ટ કરતા જણાવ્યું કે શેરી ગરબા હવે માત્ર ગામડાઓ પૂરતા મર્યાદિત થઇ ગયા છે. પાર્ટી પ્લોટના આયોજનમાં અનેક દૂષણ વધ્યા છે. શેરી ગરબામાં નાતજાતના ભેદભાવ નથી હોતા પરંતુ હવે એવા આયોજનો કરવામાં આવે છે કે જેમાં અમુક જ્ઞાતિના લોકોને જ પ્રવેશ મળે છે. ત્યારે તેમાં અમરેલીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આ ટ્રેન્ડનો ખોબા જેવડા અમરેલીને પણ ચેપ લાગ્યો છે.









