ગુજરાતમાં અત્યારે દશા બેઠી હોય તેવા ઘાટ છે. લોકો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને હજુ ભૂલ્યા નથી ત્યાં ફરી એક વખત તંત્રની બેદરકારીના કારણે વધુ એક ગોઝારી ઘટના બની હોવાનું સામે આવ્યું. વડોદરા અને આણંદને જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધરાશાયી થયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સામે આવલે વિગત મુજબ 10 લોકોના મોત થયા.
તંત્રની નબળી કામગીરી બ્રિજ ધરાશાયી
રાજ્યમાં પાદરાના ગંભીરા બ્રિજની જેમ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં આવેલ કેટલાક બ્રિજ જર્જરિત હાલતમાં છે. ગંભીરા ઉપરાંત છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. જેમાં 135 લોકોનો મોત થતા મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના સૌથી મોટી કહેવાય છે. ઝુલતા પુલ દુર્ઘટના ઉપરાંત રાજ્યમાં બ્રિજ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બનવા પામી છે.
જાણો રાજ્યમાં કયારે થઈ બ્રિજ દુર્ઘટના. સૌથી વધુ 2022ના વર્ષમાં રાજ્યમાં પુલ તૂટવાની સાત ઘટનાઓ બની હતી.
- 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટ્યો હતો.
- 2020માં રાજકોટમા આજી ડેમ પાસે પુલ તૂટી પડ્યો હતો ઉપરાંત મહેસાણા બાયપાસ પણ તૂટ્યો હતો
- વર્ષ 2021માં મમતપુરા બ્રિજનો એક સ્પાન તૂટ્યો હતો.
- વર્ષ 2023માં પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટતાં 7ના મોત થયા હતા.
- 2024માં મોરબીના હળવદમાં નવા કોયબાથી જુના કોયબાને જોડતો બ્રિજ સામાન્ય વરસાદમાં તૂટયો.
- 2022માં મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટયો હતો. બ્રિજ દુર્ઘટનામાં 135ના મોત થતા આ દુર્ઘટના સૌથી મોટી કહેવાય છે.
- 2023માં ખેડા જિલ્લાના પરીએજથી બામણ ગામને જોડતો બ્રિજ તૂટ્યો હતો. 2023માં જૂનાગઢના વંથલીમાં ધંધૂસરનો 45 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો હતો.
- 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પાસે બ્રિજના પિયરનો ટોપ તૂટતા સર્જાઈ દુર્ઘટના
તંત્રની ઉદાસીનતાના કારણે સર્જાઈ બ્રિજ દુર્ઘટના
રાજ્યમાં બ્રિજ તૂટવાની આ ઘટનાઓ બતાવે છે કે વર્ષોથી તંત્રમાં બની બેઠેલા અધિકારીઓ અને એન્જિનિયરો બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. બિસ્માર બ્રિજને લઈને સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાય છે તેમજ મીડિયા ચેનલ દ્વારા જે-સમયે અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે છતાં ફરિયાદો અને અહેવાલો સામે આંખ આડા કાન કરી તંત્ર ઘોર નિદ્રામાં પોઢે છે. અને આખરે તંત્રની ઘોર બેદરકારીના કારણે ગંભીરા બ્રિજ ધરાશાયી જેવી દુર્ઘટના બનતા માસૂમના ભોગ લેવાય છે.









