રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને નગરસેવકોએ ચૂનારાવાડ ચોકથી આજી નદી સુધી 'પોલ ખોલ' કાર્યક્રમ યોજી મનપાની કામગીરી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ ગત વર્ષે વોર્ડ નંબર 15માં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, છતાં આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસના નગરસેવકો પાવડા લઈને જાતે જ નદીમાં ઉતર્યા
વિપક્ષે દાવો કર્યો કે આજી નદીમાં ચારે તરફ કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે અને રામનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. ધાર્મિક સ્થળ નજીકની આ સ્થિતિથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસના નગરસેવકો પાવડા લઈને જાતે જ નદીમાં ઉતર્યા હતા અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ખાસ કરીને મનપાના મેયરના વોર્ડમાં જ આવી બેદરકારી સામે આવતા વિપક્ષે તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા છે.









