વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઈડિંગ ઓફિસર્સ (CSPOC), 2026ના 28મા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીનું સ્વાગત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે કર્યું.
સંસદ ભવન સંકુલમાં 28મી કોન્ફરન્સનું આયોજન
ત્યારબાદ પીએમ મોદીએ સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું, "તમે બધા જ્યાં બેઠા છો તે જગ્યા ભારતની લોકશાહી યાત્રામાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. ગુલામીના અંતિમ વર્ષોમાં જ્યારે ભારતની સ્વતંત્રતાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે બંધારણ સભા ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે આ સેન્ટ્રલ હોલમાં મળી હતી. ભારતની સ્વતંત્રતા પછી આ ઈમારત 75 વર્ષ સુધી ભારતની સંસદ તરીકે સેવા આપી અને ભારતના ભવિષ્યને લગતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને ચર્ચાઓ આ હોલમાં થઈ. હવે, ભારતે લોકશાહીને સમર્પિત આ જગ્યાને બંધારણ ગૃહ નામ આપ્યું છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આ ચોથી વખત કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. આ વખતે, કોન્ફરન્સનો મુખ્ય વિષય સંસદીય લોકશાહીની અસરકારક ડિલિવરી છે .









