ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી શરૂ થતાં કોડીનાર ખાતે 50 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા આવ્યા અને માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવ મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી સરકારના ટેકાના ભાવે મગફળી આપવામાં ખેડૂતો નીરસ હોય તેવું લાગી રહ્યું હતું પણ આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળીની આજે ખરીદી શરૂ કરવામાં આવી છે.
90,000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર
જેના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 3 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈ ખેડૂતોને મેસેજ કર્યા હતા, જ્યારે કોડીનાર કેન્દ્ર પર જ 10 ખેડૂતોને મગફળી લઈને બોલાવ્યા હતા. જેનું કોડીનાર તાલુકાના સહકારી આગેવાનોના હસ્તે શરૂ કરાઈ હતી. બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના- ગીર ગઢડાના મળી કુલ 11 કેન્દ્રોમાં 49,148 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે રજી્ટ્રેશન કરાવ્યું છે, જે પણ પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં ખૂબ સારું કહેવાય કારણ કે જિલ્લામાં અંદાજે 90,000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે અને રજી્ટ્રેશન માત્ર 49,000 ખેડૂતોએ કરાવ્યું છે.
ખેડૂતોને 400થી 500 રૂપિયાનો ફાયદો
જોકે કોડીનાર ખાતે પણ ટેકાના ભાવે મગફળી લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે સરકારે જાહેર કરેલા 1452 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લી બજારમાં 800થી 1200 રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે, જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતોને 400થી 500 રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ સરકાર 1 હેકટર દીઠ 2500 કિલો મગફળી ખરીદે છે, જેથી ખેડૂતોને વધેલી મગફળી ના છૂટકે ખુલ્લા બજારમાં વેચવી પડે છે.









