ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ગરિમા પોષણ સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.આ ઉપરાંત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તથા ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
કરોડો પરિવારમાં એકપણ બેંક એકાઉન્ટ નહોતું
આ કરારથી ફરિયાદોના નિવારણ માટે પ્રી લિટિગેશન ઇકોસિસ્ટમ ઊભી થશે. જેથી કોર્ટ સુધી પહોંચ્યા વગર જ પ્રશ્નોનો ઉકેલ આવશે.વધુમાં કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ તૈયાર કરવા માટે પણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કેર રેટિંગ અને ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સૌને મહાશિવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીની પ્રેરણાથી આજે ડિજિટલ ઇન્ડિયાનું વિસ્તરણ જાહેર વિતરણ વ્યવસ્થા સુધી પહોંચ્યું છે. એક દાયકા પહેલા દેશના 60 કરોડ લોકોના પરિવારમાં એકપણ બેંક એકાઉન્ટ નહોતું, પરંતુ આજે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને દુનિયામાં થઇ રહેલા કુલ ડિજિટલ વ્યવહારોના અડધા ડિજિટલ વ્યવહારો માત્ર ભારતમાં જ થઈ રહ્યા છે.









