અમરેલી જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ખાંભા તાલુકાની એક શાળામાં શિક્ષકોની ઘોર બેદરાકરી જોવા મળી. ખાંભામાં આવેલ પે.સેન્ટર કુમાર શાળામાં વિદ્યાર્થીઓ શાળામાં હોવા છતાં દરવાજે તાળા મારવામાં આવ્યા. શાળાનો સમય પૂર્ણ થયા બાદ પણ બાળકો ઘરે પરત ના ફરતા વાલીઓને ચિંતા થઈ. આ બાબતની તપાસ કરતાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ શાળામાં જ છે અને દરવાજા પર શિક્ષકે તાળુ માર્યું છે. આખરે DEOને રજૂઆત કરાયા બાદ શાળાના ગેટ પરનું તાળું ખોલાયું.
શિક્ષકોની ઘોર બેદરકારી, બાળકો અંદર અને ગેટ પર તાળું
પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારીનો વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. લોકોમાં એક જ સવાલ છે કે આખરે શિક્ષકોએ કેમ આવું વર્તન કર્યું. આ કિસ્સામાં સામે આવેલ માહિતી મુજબ આજે શનિવારના રોજ રાજ્યભરની શાળાઓમાં બેગલેસ ડે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખાંભાની પે.સેન્ટર કુમાર શાળાના બાળકો 11 વાગે છૂટવા છતાં ઘરે ના આવતા વાલીઓને ચિંતા થવા લાગી.
બાળકો ઘેર ના પહોંચતા વાલીઓની વધી ચિંતા
વાલીઓએ તેમના મિત્રો અને સગા સંબંધીને પૂછપરછ કરી. પરંતુ કોઈ ભાળ ના મળી. આખરે વાલીઓ શાળાએ પહોચ્યાં અને જોયું તો તેમના બાળકો શાળાના દરવાજા પર ઉભા હતા. અને ગેટ પર મસમોટું તાળું હતું. બાળકો એક કલાકથી વધારે સમયથી ભૂખ્યા અને તરસ્યા શાળાના ગ્રાઉન્ડમાં ફસાયા હતા. વાલીઓએ શિક્ષકોની આવી ઘોર બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા શાળાના તાળા ખોલવામાં આવ્યા. અગાઉ પણ ખાંભાની પે.સેન્ટર કુમાર શાળા પ્રવેશોત્વસને લઈને વિવાદમાં આવી હતી.









