ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ કહ્યું હતું કે, ગાંધીનગર કોલેજમાં રેગિંગના બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને વિનંતી છે કે, તેઓ માં બાપના સપના સાકાર કરવા માટે આવ્યા છે. જો તમારામાં બીજાને દુઃખ આપવાના સંસ્કાર હશે તો શું કરશે. આ ઉદાહરણ પરથી બીજી કોલેજના વિદ્યાર્થીઓ પણ સમજી જાય. અમને ફરિયાદ મળશે તો અમે પગલાં લેતા ખચકાઈશું નહીં. વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી મુદ્દો આપઘાત સુધી પહોંચી જાય છે.
રેગિંગ મુદ્દે ફરિયાદ આવશે તો સરકાર પગલાં લેશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, કુમળા વિદ્યાર્થીઓ પાસે સહનશક્તિ હોતી નથી. હવે કોઈ પણ કોલેજમાંથી રેગિંગ મુદ્દે ફરિયાદ આવશે તો સરકાર પગલાં લેશે. બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષમાં પ્રેવશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું હતું. તેઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હતાં. ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. હવે રેગિંગ મુદ્દે કોઈપણ કોલેજમાંથી ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.









