રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વિહિકલ ખરીદ્યાં છે.આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે.અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે.
તત્કાલિક રીસ્પોન્સ આપશે
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રીસ્પોન્સ આપશે અને "ગોલ્ડન અવર્સ" દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે.









