જામનગરમાં પિઝા ખાનારા સાવધાન. પિઝાના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલા લાપિનોઝ પિઝા પાર્લરમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. ગ્રાહકે લાપિનોઝમાં પિઝાનો ઓર્ડર આપ્યો હતો અને જ્યારે તે ખાવા ગયો ત્યારે તેમાંથી જીવાત નીકળી. ગ્રાહકે જ્યારે જીવાત નીકળ્યાને લઈને પાર્લર માલિકે જાણ કરી ત્યારે ઉડાઉ જવા આપવામાં આવ્યો. ગ્રાહકે જીવાત નીકળેલ પિઝાનો વીડિયો બનાવ્યો. અન્ય લોકો પણ આવા બિનહાનિકારક પિઝા ખાઈ બીમારી પડી શકે છે. જે બાબત ધ્યાનમાં આવતા ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી.
પિઝામાંથી જીવાત નીકળતા કરી ફરિયાદ
પિઝ્ઝામાંથી જીવાત નીકળ્યાની ગ્રાહકની ફરિયાદના પગલે કોર્પોરેશનની ફૂડ શાખાની ટીમ પાર્લર પર પહોંચી. આરોગ્ય ટીમે પિઝ્ઝા પાર્લરના સ્થળ પરથી વિવિધ નમૂના લીધા. દરમિયાન હાલ ફૂડ વિભાગ દ્વારા હાઇજીનિક અંગે નોટિસ ફટકારી પિઝા પાર્લરને સીલ કરવામાં આવ્યું. ફૂડ વિભાગની ટીમે પિઝા પાર્લરમાંથી લીધેલ નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા. જ્યાં સુધી આ નમૂનાની ચકાસણી નહી થાય ત્યાં સુધી પાર્લર બંધ રહેશે. અત્યારે વરસાદી સિઝનમાં બીમારીનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે ધીકતી કમાણી કરતી આવી હોટલો અને રેસ્ટોરન્ટ સ્વચ્છતા બાબતે બેદરકાર રહેતી હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પણ બન્યા જીવાત નીકળ્યાના કિસ્સા
જામનગર સિવાય અમદાવાદમાં પણ પિઝામાંથી જીવાત નીકળ્યા કિસ્સા બન્યા છે. જયારે આ કિસ્સા સામે આવે છે ત્યારે ફૂડ વિભાગ જાય છે નોટિસ ફટકારે છે અને દંડ વસૂલે છે. આ પ્રક્રિયા થાય છે ને ફરી પાછા પાર્લર ધમધમવા લાગે છે. લોકોની ફરિયાદ થતા કામગીરી કરીએ છીએ તેવું બતાવવામાં આવે છે અને બીજી બાજુ વેપારીઓ પર રહેમ નજર રાખી ઉપરછલ્લો દંડ વસૂલવામાં આવે છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે નકકર કામગીરી કરવી જોઈએ તેવું જાગૃત ગ્રાહક કહી રહ્યો છે.









