જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિકાસના કામો અને વહીવટી પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઉભા થયા હતા. ખુદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ જાહેરમાં રસ્તા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર તેમજ વહીવટી નિષ્ફળતાની કબૂલાત કરી હતી. તેમના આ નિવેદનથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે હડકંપ મચ્યો હતો. ઉપપ્રમુખ મુકેશ કણસાગરાએ ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમે એક પણ કામ કરી શક્યા નથી. આ નિવેદન જિલ્લાના વિકાસની ગતિ પર સીધો પ્રશ્નાર્થ ઊભો કરે છે. તેમણે આ નિષ્ફળતા માટે તંત્ર અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને જવાબદાર ઠેરવ્યો હતો.
અધિકારીઓ કરી રહ્યા છે તાનાશાહી
કણસાગરાએ અધિકારીઓ પર સીધા આક્ષેપ કરતા કહ્યું કે અધિકારીઓ તાનાશાહી કરી રહ્યા છે. તેમના મતે અધિકારીઓ પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે. જેના કારણે વિકાસના કામો અટકી પડ્યા છે અને ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળી રહ્યું છે. ઉપપ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે આ અણઘડ વહીવટના કારણે જૂનાગઢ જિલ્લા પંચાયત નીચેના ક્રમે ઉતરી ગઈ છે. આ નિવેદને જિલ્લા પંચાયતની કાર્યક્ષમતા અને પ્રતિષ્ઠા પર ગંભીર સવાલ ઉભા કર્યા હતા. એક પદાધિકારી દ્વારા જ આ પ્રકારની કબૂલાત થવીએ દર્શાવે છે કે જૂનાગઢ જિલ્લામાં વિકાસના કામોની સ્થિતિ અત્યંત દયનીય છે.









