મોરબી જિલ્લાના હળવદ અને ટંકારામાં કમોસમી ધોધમાર વરસાદ ખાબક્યો. વાંકાનેર,માળિયા ગામ સહિતમાં પણ વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા. ગતરાત્રિએ જયાં એકબાજુ લોકો તુલસી વિવાહની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દરવર્ષે દેવઉઠી એકદાશીની શુભ તિથિ પર અનેક સ્થાનો પર તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. ગતરોજ મોરબીમાં તુલસી વિવાહની ધાર્મિક અને પારંપરિક રીતે ઉજવણી થઈ રહી હતી દરમિયાન ભારે વરસાદ પડયો. સુરવદર ગામે કથા મંડપ પાણી પાણી થયું. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો.
મોરબી જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ
મોરબી જિલ્લામાં હળવદ ટંકારા વાંકાનેર માળીયા અને મોરબી સહિતના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું તેમજ ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને ખેડૂતો તૈયાર થયેલો કપાસ મગફળી સહિતનો પાકનો નિકાલ કરી શકતા નથી અને જેથી કરીને નુકસાની વેઠવી પડી રહી છે. કમોસમી ઝરમર વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા કપાસ મગફળી સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં હળવદ તાલુકાને બાકાત રખાયા હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો.
કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતિત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત થયા. માવઠાના મારના કારણે પાકને મોટું નુકસાન થવાનો ડર છે. ખાસ કીરને મગફળી, કપાસના પાકને વ્યાપક નુકસાન થવાની શકયતાને લઈને ખેડૂતોએ રાજ્ય સરકાર સામે સહાયની માગ કરી છે. ટંકારા તાલુકાના ખેડૂતોએ કમોસમી વરસાદથી નુકસાનમાં સહાય મેળવવા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ નુકસાનમાં વળતર, દેવામાફી , પાકવીમાં યોજના ફરી શરૂ કરવા, ટેકાના ભાવથી 300 મણ મગફળી ખરીદી કરવાની માંગ કરતા મામલતદારને આવેદન પાઠવ્યું. મોટી સંખ્યામાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી રજૂઆત કરી. ટંકારા કોંગ્રેસ આગેવાનો પણ ખેડૂતો સાથે પહોંચ્યા કચેરીઓ પહોંચ્યા હતા.









