અમલસાડ ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે સંદેશ ન્યુઝની ટીમ નવસારી જિલ્લાના અમલસાડ ગામમાં પહોંચી હતી. બાગાયતી પાક ચીકુ માટે જગ વિખ્યાત ગામ અમલસાડની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 6500થી વધુ મતદારો ધરાવતા આ ગામમાં વિકાસ કાર્યો તો થયા છે. પરંતુ હજી કેટલાક કામો બાકી હોવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે.
કામગીરી થઈ વિકાસ બાકી
ગ્રામજનોની ફરિયાદ છે કે રોડ અને પાણી જેવી સમસ્યા પર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ખેતીના બિયારણ અને ચોમાસામાં થતા નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. જણાવી દઈએ કે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને થોડા દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવ્યો હતો.
ગ્રામપંચાયતોમાં ચૂંટણી
લાંબા સમયથી આ ગ્રામ પંચાયતો વહીવટદારોના શાસન હેઠળ હતી. અને હવે ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થતા આ પંચાયતો હવે ગામ સરકાર બનશે. 22 જૂન,રવિવારના દિવસે નવસારી જિલ્લાની 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 14 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે. આ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે.









