રાધનપુર ફેમિલી કોર્ટમાં ગત 15 જૂને છૂટાછેડાની મુદત હોવાથી કિંજલના પતિ અશોક ચૌધરી હાજર રહ્યા હતાં. કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને જ્યારે તેઓ પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે 4 જેટલા અજાણ્યા ઈસમોએ હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે તેમની ગાડીને ઘેરી લીધી હતી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અશોક ચૌધરીએ કિંજલ રબારી સાથે કરેલા પ્રેમ લગ્ન બાદ, છૂટાછેડાના કાગળો પર સહી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દેતાં આ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો હોવાનું સામે આવ્યું છે.
4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી
અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભોગ બનનાર કિંજલ રબારીના પૂર્વ પતિ અશોક ચૌધરીના જણાવ્યા અનુસાર, કિંજલ રબારી સાથે ઓફિશિયલ છૂટાછેડા લેવા માટે કિંજલના પરિવારજનો દ્વારા તેમના પર અવારનવાર માનસિક અને સામાજિક દબાણ લાવવામાં આવતું હતું. કોર્ટ પરિસર નજીક થયેલા આ હુમલાના અસફળ પ્રયાસ બાદ અશોક ચૌધરીએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશન ખાતે જઈને હુમલો કરવા આવેલા 4 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









