રાજકોટના જસદણમાં પાક નષ્ટ થઈ જતાં એક ખેડૂત લાચાર બન્યો છે.લીલાપુરમાં ખેડૂતે વાવેલા ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થતાં તે રોષે ભરાયો હતો. તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો હતો.વીડિયોમાં તે એવું કહેતો સંભળાય છે કે,નેતાઓના દીકરાઓને ગામમાં આવવું ભારે પડી જશે. ચૂંટણી આવે એટલે કલાકારો પડકારા મારે છે પણ ખેડૂતો માટે એક શબ્દ નથી બોલતા. જો હવે ખેડૂતોને સહાય નહીં મળે તો નેપાળ વાળી થશે. ખેડૂતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સરવે કરવા માટે આવેલી ટીમનો વિરોધ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની વાવડી ગામમાં લોકોએ સરવેનો વિરોધ કર્યો છે. ગામમાં પાક નુકસાનીનો સરવે કરવા આવેલી ટીમનો વિરોધ કરીને ગામના લોકોએ સરવે કરવા દીધો નહોતો. ગામના લોકોનું કહેવું છે કે, જે રીતે પાકમા નુકસાન થયું છે તેના માટે સરવેની જરૂર નથી. સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગામ લોકોના વિરોધ બાદ સરવે કરવા માટે આવેલી ટીમ પાછી ફરી હતી. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના 53 ગામના સરપંચોએ ડિજિટલ સરવેનો વિરોધ કર્યો હતો. સરપંચોએ મુખ્યમંત્રીને પત્રો લખીને રજૂઆતો કરી હતી. તેમણે સરકારને સમગ્ર તાલુકાને લીલા દુકાળથી અસરગ્રસ્ત તાલુકો જાહેર કરવા માગ કરી હતી.









