સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. બીજી બાજુ આ ઘટનાના 12 દિવસ બાદ મનપા કમિશ્નરે નિવેદન આપ્યું છે.મનપાના કમિશનર એમ નાગરાજને માત્ર તપાસ કમિટીનું જ રટણ કર્યું હતું. બીજી તરફ અનેક લોકો બેઘર થયા છતાં મનપાના અધિકારીઓ અને શાસકો ખો ખો રમે છે. અધિકારીઓ કહે છે કે આ ડિમોલિશન કાયદાકિય છે. જ્યારે કમિશનર કહે છે કે ડિમોલિશન કોણે કર્યું તે ખબર નથી. એક જ મનપામાં અલગ અલગ નિવેદન બાજી સામે આવી છે. નોટીસ આપી કે નહીં તે કમિશ્નરને જ ખબર નથી. કમિશનર અધૂરા જવાબો આપીને ભાગ્યા હતાં.
વિનુ મોરડિયાએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી
ભૂતિયા ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે એક જનપ્રતિનિધિ તરીકે તેમણે આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા અને તેમના સવાલોથી કેટલાક લોકોને અસ્વસ્થતા થઈ રહી છે.વિનુ મોરડિયાએ કહ્યું કે,ઘૂસણખોરોને અહીં રહેવા દેવા ન જોઈએ.તેમણે સવાલ ઉઠાવ્યો કે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કેમ કરી નથી.ડિમોલિશન માટે નક્કી પ્રક્રિયા અને નીતિ હોય છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે આ ડિમોલિશન કર્યું કોણે? જો કોઈએ ખોટું કર્યું હશે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે ત્યારે સત્ય બહાર આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.









