સુરત શહેરના વેસુ વિસ્તારમાં મનપાની બેદરકારીનું એક ઉદાહરણ સામે આવ્યું છે.વેસુ આરોગ્ય કેન્દ્રની બરાબર સામે ખુલ્લી ગટર જોવા મળી રહી છે.જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.મનપા દ્વારા અહીં રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ ગટરના મેનહોલ પર ઢાંકણું લગાવવામાં આવ્યું નથી.જેના કારણે ગટર ખુલ્લી હાલતમાં છે.આ પરિસ્થિતિમાં કોઈપણ સમયે અકસ્માત સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકોને મુશ્કેલી
ખુલ્લી ગટરના કારણે ખાસ કરીને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.રાત્રિના સમયે અથવા ટ્રાફિક દરમિયાન આ ખુલ્લી ગટર વધુ જોખમી બની શકે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંથી પસાર થતી ગાડીઓ માટે આ મોટી સમસ્યા બની ગઈ છે.સ્થાનિકોએ મનપા તંત્ર પાસે માંગ કરી છે કે વહેલી તકે ગટરના મેનહોલ પર ઢાંકણું લગાવી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં.









