વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં રાજ્યના તમામ નાના મોટા બ્રિજની મરામત શરૂ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક બ્રિજ જોખમી હોવાથી તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે ધ્રાંગધ્રા કુડા બ્રિજ પર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આઠ મહિનાથી બ્રિજ બંધ હોવા છતાં વાહનોની અવરજવર ચાલુ છે. તંત્રની બેદરકારીને કારણે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
ધ્રાંગધ્રા કુડા બ્રિજ પર તંત્રની બેદરકારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધ્રાંગધ્રાથી કુડા તરફનો જર્જરિત બ્રિજ જર્જરિત હોવા છતાં તેના પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યાં છે. આઠ મહિનાથી આ બ્રિજ બંધ હોવા છતાં તેના પરથી ભારે વાહનોની અવરજવર ચાલુ છે. ડાયવર્ઝનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો પરંતુ બ્રિજનું સમારકામ નહીં કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જર્જરિત બ્રિજ પરથી ઓવરલોડ ટ્રકો પસાર થઈ રહી છે. જેથી કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તેવા સવાલો ઉભા થયાં છે. આ બ્રિજ પરથી આઠથી ગામના લોકો રોજ હજારોની સંખ્યામાં પસાર થતાં હોય છે. બ્રિજનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માગ ઉઠી છે.









