વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો મુજમુર -ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક ટ્રક, બોલેરો, બાઇક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી જોવા મળી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. 1985માં બનેલો આ બ્રિજ જર્જરિત હોવા છતાં તેને બંધ ન કરાતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
બ્રિજ તૂટતા મોટાપાયે ટ્રાફિક જામ
બ્રિજ તૂટવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામ સર્જાયો છે, જેના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ છે. આણંદ અને વડોદરા વચ્ચેનો ગંભીરા બ્રિજ તૂટવાની ગોઝારી ઘટના સામે આવી છે. આજે વહેલી સવાર આ બ્રિજ તૂટવાની ઘટનાથી હડકંપ મચ્યો છે. વડોદરાના પાદરામાં આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે.
બ્રિજ જર્જરિત છતાં ચાલુ
1981માં આ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને 1985માં આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 40થી વધુ વર્ષ વિતી ગયા હોવાથી આ બ્રિજ જર્જરિત બન્યો હતો. આ બ્રિજના કારણે વડોદરા અને આણંદ વચ્ચે મોટા અને ભારે વાહનો પસાર થતાં હતાં. ઘણા વર્ષોથી આ બ્રિજ ખખડધજ સ્થિતિમાં હોવાને લઈને દુર્ઘટના ટાળવા સ્થાનિકો દ્વારા બ્રિજનું સમારકામ કરવાની તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યુ ંહતું. છતાં પણ આ બ્રિજ કેમ ચાલુ રાખવામાં આવ્યો તેને લઈને લોકોના મનમાં પ્રશ્નો ઉઠ્યા છે.









