ડાંગ જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે સમગ્ર ડાંગની ગિરિમાળાઓ જાણે પ્રકૃતિના સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં નવા નીર આવતા નદીઓએ ઘોડાપૂરનું સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને પ્રસિદ્ધ ગીરાધોધ અને શંકર ધોધે પોતાનું રૌદ્ર અને અત્યંત મનમોહક સ્વરૂપ ધારણ કર્યું છે. ઘોઘલી ઘાટ સહિતના કુદરતી સ્થળોએ નાના-મોટા અનેક ઝરણાઓ સક્રિય થઈ જતાં ડાંગની સુંદરતામાં અનેકગણો વધારો થયો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગીરાધોધ તરફ જતા માર્ગો પર પ્રતિબંધ
કુદરતી સૌંદર્યની સાથે સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. ધોધના આ રૌદ્ર સ્વરૂપ અને નદીઓમાં આવેલા પૂરને જોતા, પ્રવાસીઓની સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ગીરાધોધ તરફ જતા માર્ગો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એક તરફ ધોધમાર વરસાદથી નદીઓમાં આવેલા નવા નીરને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ પ્રકૃતિના આ મનમોહક અને જોખમી દ્રશ્યોને નિહાળવા માટે પ્રવાસીઓએ તંત્રની સૂચનાઓનું પાલન કરીને સુરક્ષિત રહેવું અત્યંત જરૂરી છે.









