રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલના તંત્રએ માઝા મૂકી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાયના વોર્ડમાં તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. તાળા લગાવેલા જોઈ લોકોમાં કુતુહલ સર્જાયું છે. સૌરાષ્ટ્ર ભરમાંથી મધ્યમ વર્ગીય લોકો સારવાર લેવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે કેશબારી, ઓપીડી સહિતના રૂમમાં તાળા લાગેલા જોવા મળ્યા છે અને તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બહારથી આવેલા દર્દીઓને સારવાર ન મળતા હાલાકી
તમને જણાવી દઈએ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે આ વિશે તંત્રને સવાલ કરવામાં આવતા ગણેશ ચતુર્થીની રજા હોવાનું કારણ આગળ કરવામાં આવ્યું છે. રાજકોટમાં અનેક વોર્ડમાં તાળા જોઈને બહારગામથી આવતા લોકો પરેશાન થઈ ગયા છે. નિયમ મુજબ રજા રાખવી હોય તો અગાઉથી જ જાહેર માધ્યમ વડે લોકોને જાણ કરવી પડે છે પણ આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવી નથી.









