અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડી કેબિન અંડરપાસ સિવાય કાળીગામ ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાવવાથી લોકોને હાલાકી પડી રહી છે. અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. તંત્ર કામ ન કરતું હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે. સ્થાનિકોએ સવાલ કરતા કહ્યું કે જો સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ છે તો પછી ચોમાસામાં શું થશે? વરસાદી પાણીમાં લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. ચોંકવનારી બાબત એ છે કે વરસાદ બંધ થયાના કલાકો વિત્યા છતાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. વરસાદે વિરામ લીધો છે છતાં પણ તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.
તંત્રની ઘોર બેદરકારીથી વાહનચાલકો પરેશાન
બીજી તરફ શહેરના ડી કેબિન વિસ્તારમાં બનેલા નવા અંડરપાસમાં પણ તંત્રની ઘોર બેદરકારીને પગલે વરસાદી પાણી ભરાયા છે. અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે અને વધુ એક વખત મનપા તંત્રની ઘોર બેદરકારીથી વાહનચાલકો અને સામાન્ય લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે ડી કેબિન અંડરપાસ બંધ થતાં જ સાબરમતી અને રાણીપ જવાના રસ્તા પણ લોકો માટે બંધ થઈ ગયા છે. આ સિવાય ચાંદખેડા, કાળીગામ જવાના રસ્તા પણ બંધ થયા છે. પાણી ભરાવવાની સમસ્યાને લઈને એક વાહનચલાકે રોષ વ્યક્ત કરતા કહ્યું કે વરસાદ બંધ થતાં જ પાણી કાઢવાની કામગીરી કરવી જોઈએ. આ અંડરપાસનું થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે જ ઉદ્ધાટન થયું હતું. વધુમાં વાહનચાલકે કહ્યું કે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ સર્જાઈ છે.









