ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ જોવા મળશે, જે હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસી રહ્યો છે. જોકે, આ પ્રારંભિક વરસાદને કારણે કૃષિ કાર્યોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, જેથી ખેડૂતોએ સાવચેત રહેવું પડશે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે 23 જૂનથી આદ્રા નક્ષત્રના વરસાદની સંભાવના છે. 23થી 26 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે, જેને પગલે 23 જૂનથી જ રાજ્યમાં વાવણી લાયક વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક અને સારો વરસાદ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જુલાઈમાં અતિભારે વરસાદ અને ઓગસ્ટથી અલ-નીનોનો ખતરો

અંબાલાલ પટેલે 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન ચોમાસાને લઈ એક મહા અગત્યની આગાહી કરી છે. આ દિવસોમાં બંગાળની ખાડીમાં એક નવી મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. જોકે, આ સારા સમાચારની સાથે તેમણે એક ચિંતાજનક સંકેત પણ આપ્યો છે. ચોમાસાના પાછલા ભાગમાં એટલે કે ઓગસ્ટથી નવેમ્બર મહિના દરમિયાન 'અલ-નીનો' (Al-Niño) સક્રિય થવાનો ખતરો છે, જે ચોમાસાની ગતિવિધિઓ પર નકારાત્મક અસર કરી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: