અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમે સરાહનીય કામગીરી કરી છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ગઈકાલથી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 11 લોકોને ફાયર ટીમે બોટની મદદથી સહીસલામત બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.
11 નાગરિકો ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયા
મળતી માહિતી મુજબ, ગઈકાલથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા આ 11 નાગરિકો ચારેય તરફ પાણીથી ઘેરાઈ ગયા હતા અને બહાર નીકળી શકે તેમ ન હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર વોટર બોટ મારફતે પૂરના પાણીમાં ઉતરીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
