સુરત જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ મચાવેલા આતંકને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીતેલ 24 કલાક પડેલા મુસળધાર વરસાદના કારણે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને ઘરોમાં પાણી ભરાઈ જતાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
અનેક વિસ્તારોમાં લોકોને સલામત બહાર કઢાયા
આ કટોકટીની સ્થિતિ વચ્ચે સુરત ફાયર વિભાગના જવાનો દેવદૂત બનીને સામે આવ્યા છે અને રાતોરાત અનેક વિસ્તારોમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લોકોની જિંદગી બચાવી છે.
લાલીમાનગરમાંથી 18 લોકોનું રેસ્ક્યું
શહેરના ઉધના વિસ્તારમાં આવેલા લાલીમાનગરમાં પૂરના પાણી ઘૂસી જતાં સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. ફાયર વિભાગની ટીમે મધરાતે ભારે પ્રવાહ વચ્ચેથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને લાલીમાનગરમાંથી સફળતાપૂર્વક 18 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા
આ ઉપરાંત ભારે પૂરની અસર હેઠળ આવેલા સણિયા, સારોલી અને પુણા વિસ્તારમાંથી પણ ફાયર બ્રિગેડના જવાનોએ ઓપરેશન હાથ ધરીને 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.
કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય
ફાયર વિભાગની આ સફળ બચાવ કામગીરી બાદ રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને સુરત મહાનગરપાલિકા ના અલગ-અલગ કોમ્યુનિટી હોલ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તેમના માટે ખાવા-પીવાની અને તબીબી સુવિધાઓ ઊભી કરાઈ છે.

તંત્ર દ્વારા વરસાદી સ્થિતિ પર સતત મોનિટરિંગ
હાલમાં પણ સુરતના અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. સુરત વહીવટી તંત્ર અને એસએમસીના ઉચ્ચ અધિકારીઓ કંટ્રોલ રૂમમાંથી પળેપળની વરસાદી સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં બોટ અને બચાવ સામગ્રી સાથે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં આજે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી