સુરતમાં મેઘરાજાના પ્રકોપ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. શહેરના મોટાભાગના રહેણાંક અને વ્યાપારિક વિસ્તારોમાં ઘૂંટણસમા અને અનેક જગ્યાએ કેડસમા પાણી ભરાઈ ગયા છે. આ આપત્તિજનક જમીની પરિસ્થિતિનો તાગ મેળવવા અને રાહત કામગીરીને વેગ આપવા માટે વહીવટી તંત્રના અધિકારીઓ પોતે મેદાનમાં ઉતર્યા છે. સુરત જિલ્લાના પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ અને સુરત પોલીસ કમિશનર પૂરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરવા માટે જાતે બોટમાં સવાર થઈને નીકળ્યા હતા.
શાલિની અગ્રવાલે નીચાણવાળા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી
શહેરના પ્રભારી શાલિની અગ્રવાલે પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા નીચાણવાળા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓ એનડીઆરએફ ની સ્પીડ બોટમાં બેસીને પાણીમાં ગરકાવ થયેલી સોસાયટીઓ વચ્ચે પહોંચ્યા હતા અને ફસાયેલા લોકોની સ્થિતિ જોઈ હતી. તેમની સાથે સુરત પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ સ્પીડ બોટમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા તેમજ રેસ્ક્યુ ઓપરેશનની બારીકાઈથી સમીક્ષા કરી હતી.
