છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 21 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે રાજ્યમાં ચિંતા વધી ગઈ છે. આસામ રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA) દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા બુલેટિન અનુસાર, હાલ રાજ્યના 16 જિલ્લાઓમાં આશરે 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

આસામમાં પૂર અને ભૂસ્ખલન

સૌથી વધુ અસર શિવસાગર જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યાં 13 લોકોના મોત થયા છે. આ વર્ષે આસામમાં પૂર અને ભૂસ્ખલન જેવી આપદાઓને કારણે કુલ મૃત્યુઆંક 31 સુધી પહોંચી ગયો છે. સોમવારે 15 જિલ્લાઓમાં લગભગ 3.63 લાખ લોકો પ્રભાવિત હતા, પરંતુ માત્ર એક જ દિવસે આ સંખ્યા વધીને 5.64 લાખથી વધુ થઈ ગઈ છે, જે સ્થિતિ કેટલી ઝડપથી બગડી રહી છે તે દર્શાવે છે.

અનેક વિસ્તારોમાં જળભરાવ

પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં ગોલાઘાટ, કામરૂપ, હોજાઈ, ડિબ્રુગઢ, બિશ્વનાથ, ધેમાજી, સોનિતપુર, ઉદાલગૂડી, નગાંવ, ચરાઈદેવ, કામરૂપ મેટ્રો, જોરહાટ, તિનસુકિયા, કાર્બી આંગલોંગ, લખીમપુર અને શિવસાગરનો સમાવેશ થાય છે. ASDMAના જણાવ્યા મુજબ 44 રાજસ્વ સર્કલ હેઠળના 872 ગામોમાં પાણી ભરાઈ ગયું છે.

શિવસાગર જિલ્લામાં સૌથી વધુ 3,59,535 લોકો પ્રભાવિત થયા 

શિવસાગર જિલ્લામાં સૌથી વધુ 3,59,535 લોકો પ્રભાવિત થયા છે. જોરહાટમાં 87,662 અને ચરાઈદેવમાં 72,646 લોકો પૂરની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી માટે 71 રાહત કેમ્પ શરૂ કર્યા છે, જેમાં 12,284થી વધુ વિસ્થાપિત લોકોને આશરો આપવામાં આવ્યો છે. ઉપરાંત 202 રાહત વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે.

રાહત તેમજ બચાવ કામગીરીની સમીક્ષા કરશે

મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ જાહેરાત કરી છે કે તેઓ બુધવારથી પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે અને રાહત તેમજ બચાવ કામગીરીની સમીક્ષા કરશે. પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે.

ઇમરજન્સી કિટ તૈયાર રાખવી 

પૂર દરમિયાન પોતાની સુરક્ષા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ રાખવી જરૂરી છે. પૂરનું એલર્ટ મળે ત્યારે તરત જ ઇમરજન્સી કિટ તૈયાર રાખવી જોઈએ. તેમાં રોકડ રકમ, મોબાઇલ ચાર્જર, પીવાનું પાણી, સુકો ખોરાક, ટોર્ચ, વધારાની બેટરી, ફર્સ્ટ એઇડ કિટ, જરૂરી દવાઓ અને મહત્વના દસ્તાવેજો રાખવા જોઈએ.