• કઝાકિસ્તાનમાં હોસ્ટેલમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા
  • મૃતકોમાં 9 પીડિત કઝાખ, 2 રશિયાના અને 2 ઉઝબેકિસ્તાનના હતા
  • આગમાં એક ભારતીય વિદ્યાર્થી સહિત 4 લોકો ઘાયલ થયા

કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્માટીમાં ગુરુવારે એક હોસ્ટેલમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા હતા. જ્યારે એક ભારતીય વિદ્યાર્થી સહિત 4 લોકો ઘાયલ થયા છે. શહેરના ઇમરજન્સી વિભાગે એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી છે. છાત્રાલયમાં લાગેલી આગ અંગે અલ્માટી પોલીસ વિભાગે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 પીડિત કઝાખ, 2 રશિયાના અને 2 ઉઝબેકિસ્તાનના હતા.

અહેવાલ અનુસાર, આગ 3 માળની રહેણાંક ઇમારતના ભોંયરામાં લાગી હતી. આ ઈમારતનો પહેલો માળ અને ભોંયરું હોસ્ટેલમાં ફેરવાઈ ગયું હતું. દુર્ઘટના સમયે હોસ્ટેલમાં કુલ 72 લોકો હતા જેમાંથી 59 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 13 લોકો આગની લપેટમાં આવી ગયા હતા તેથી તેઓને બચાવી શકાયા ન હતા.

એક ભારતીય વિદ્યાર્થી પણ ઘાયલ થયો

અહેવાલ મુજબ, આગની ઝપેટમાં આવીને ઘાયલ થયેલા 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક ભારતીય વિદ્યાર્થી પણ સામેલ છે. હજુ સુધી તે પુષ્ટિ થઈ નથી કે તમામ પીડિત વિદ્યાર્થીઓ હતા કે અન્ય લોકો પણ સામેલ હતા. આ સાથે મૃતકોના નામ પણ હજુ સુધી જાહેર થયા નથી. રિપોર્ટ અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગને ગંભીરતાથી લેતા સરકારે કહ્યું છે કે તેણે તેની તપાસ માટે વિશેષ પંચની રચના કરી છે.

કોલસાની ખાણમાં પણ આગ લાગી

નોંધનીય છે કે આ પહેલા ઓક્ટોબરમાં કઝાકિસ્તાનમાં કોલસાની ખાણમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 28 લોકોના મોત થયા હતા. આગ બાદ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયવે સરકારને આર્સેલર મિત્તલ ટેમિરતાઉ ખાણકામ કંપની સાથે રોકાણ સહકાર બંધ કરવાની સૂચના આપી હતી.


  • Follow us on: