• તુર્કીની રાજધાની અંકારામાં પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો
  • હુમલામાં એક આત્મઘાતી માર્યો ગયો હતો જ્યારે બીજો સુરક્ષા દળોએ માર્યો 
  • વિસ્ફોટમાં કેટલા લોકો ઘાયલ થયા અને કેટલા લોકોના મોત થયા

તુર્કીની રાજધાની અંકારામાં પોલીસ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ રવિવારે સવારે લગભગ 9 વાગ્યે થયો હતો. આ હુમલામાં એક આત્મઘાતી માર્યો ગયો હતો જ્યારે બીજો સુરક્ષા દળોએ માર્યો હતો. આ વિસ્ફોટમાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા લોકોના મોત થયા છે તે જાણી શકાયું નથી. સાથે તુર્કીમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

તુર્કીના ગૃહમંત્રી અલી યેર્લિકાયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે બે આતંકવાદીઓ કોમર્શિયલ વાહન સાથે નેશનલ પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગની નજીક પહોંચ્યા અને તેમાંથી એકે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે બીજો આતંકવાદી પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. આ સિવાય બે પોલીસ અધિકારીઓને પણ થોડી ઈજા થઈ હતી.


તુર્કીના મીડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે વિસ્ફોટ સંસદ ભવન અને સરકારી મંત્રાલયની ઇમારતોની નજીક થયો હતો અને ગૃહ મંત્રાલયની નજીકના રસ્તા પર કાટમાળના વિડિયો દર્શાવ્યા હતા.

સંસદનો નવો કાર્યકાળ શરૂ, સુરક્ષા સઘન

અહેવાલ અનુસાર, તુર્કીમાં ઉનાળુ વેકેશન બાદ આજથી સંસદ શરૂ થઈ રહી છે. સંસદ ભવન અને ગૃહ મંત્રાલયની બિલ્ડીંગની નજીક જ્યાં હુમલો થયો હતો તેની આસપાસ સુરક્ષા હવે કડક કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ એર્દોગન આજે ઉદ્ઘાટન સંબોધન કરશે તેવી અપેક્ષા હતી. રાષ્ટ્રપતિ સહિત તમામ સાંસદો બપોરે 2 વાગે સંસદ પહોંચે તેવી શક્યતા છે.

તુર્કીના મીડિયા અહેવાલો અનુસાર, હુમલાના સ્થળની આસપાસ ઘણા શંકાસ્પદ પેકેજો અને બેગને નિયંત્રિત રીતે વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. પરિણામે આ વિસ્તારમાં બે મોટા વિસ્ફોટ થયા હતા. 

  • Follow us on: