બાંગ્લાદેશનાં એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝઝમાંએ ત્યાંનાં બંધારણમાં સુધારા કરવાની માગણી કરી છે. તેમણે બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો સમાજવાદ, બંગાળી રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષતા જેવા શબ્દો હટાવવા રજૂઆત કરી છે. આ ઉપરાંત બંગબંધુ શેખ મુજીબૂર રહેમાનની રાષ્ટ્રપિતા તરીકેની ઓળખ દૂર કરવા પણ અનુરોધ કર્યો છે.
બંધારણની કલમ 8ના સંદર્ભમાં તેમણે કહ્યું કે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા બાંગ્લાદેશની વાસ્તવિક સ્થિતિ સાથે યોગ્ય નથી. કારણ કે અહીં 90 ટકા વસ્તી મુસ્લિમ છે. પરિશિષ્ટ 9માં સામેલ કરવામાં આવેલ બંગાળી રાષ્ટ્રવાદ શબ્દ પણ આધુનિક લોકતંત્રનાં સિદ્ધાંતો સાથે યોગ્ય નથી. તેમણે 30 જૂન 2011નાં રોજ બાંગ્લાદેશની સંસદમાં પસાર કરવામાં આવેલા 15મા સંવિધાન સંશોધનમાં શેખ મુજીબૂર રહેમાનની ઓળખ રાષ્ટ્રપિતા તરીકે કરવામાં આવી છે તે દૂર કરવા પણ માગણી કરી છે. તેમણે બંધારણમાં સુધારા પછી દેશ લોકશાહી અને લોકાચાર ઢબે ચાલશે તેમ જણાવ્યું હતું. તેમણે જનમત સંગ્રહની જોગવાઈ કરવા તરફેણ કરી હતી.










