• નેતન્યાહુએ શિયાળુ સત્રમાં ઈઝરાયેલની સંસદને સંબોધિત કરી
  • વડાપ્રધાને હમાસ સામેનાં યુદ્ધને અસ્તિત્વની લડાઈ ગણાવી
  • ભારતીય નેતૃત્વ અને લોકોનો સમર્થન બદલ માન્યો આભાર
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સાથે ઇઝરાયેલના ચાલી રહેલા યુદ્ધને "તામસિક શક્તિઓ" સામે અસ્તિત્વની લડાઇ તરીકે દર્શાવ્યું હતું. તેમણે હમાસ સામેની લડાઈને માનવતાનું પ્રતિનિધિત્વ કરતી "પ્રકાશની ઉર્જા" અને પાશવીપણાને મૂર્ત સ્વરૂપ આપતી "અંધકારની શક્તિઓ" વચ્ચેના સંઘર્ષ સાથે સરખાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુખ્ય ઉદ્દેશ્ય હમાસ પર વિજય મેળવવાનો હતો.
યહુદીઓનાં અસ્તિત્વને જોખમ
વડા પ્રધાને શિયાળુ સત્રના પ્રારંભિક સત્રમાં ઇઝરાયેલની સેનેટને જણાવ્યું હતું કે "75 વર્ષ વીતી જવા છતાં પણ સ્વતંત્રતાની લડાઈનો અંત આવ્યો નથી, આપણે જીતીશું કારણ કે અહીં આપણું અસ્તિત્વ જોખમમાં છે,"
હમાસનાં શાસનને ઉથલાવવાનું લક્ષ્ય
નેતન્યાહુએ જણાવ્યું હતું કે "આપણું લક્ષ્ય હમાસ પર વિજય છે, તેને તેના શાસનમાંથી ઉથલાવી નાખવું," આતંકવાદી જૂથે ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ દસ દિવસ દરમિયાન 1,300 થી વધુ લોકોનો નરસંહાર કર્યો, 4,000 જેટલા ઘાયલ થયા, અને ગાઝા પટ્ટીમાં લગભગ 200 બંધકોનું અપહરણ કર્યુ.
હમાસ એક નરસંહાર આતંકવાદી સંગઠન
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું છે કે તેલ અવીવ અને જેરુસલેમમાં સાયરન વાગી રહ્યા છે. IDF એ અગાઉ કહ્યું હતું કે હમાસ એક નરસંહાર આતંકવાદી સંગઠન છે.
ભારતનો આભાર માન્યો
ઇઝરાયલના ડાયસ્પોરા બાબતોના મંત્રી અમીચાઇ ચિકલીએ હમાસ સામેની લડાઇમાં ઇઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવા બદલ ભારતીય નેતૃત્વ અને ભારતના લોકોનો આભાર માન્યો છે. ચિકલીએ જણાવ્યું હતું કે "પાશવી જેહાદી અસંસ્કારી ઈસ્લામવાદીઓ સામેની આ લડાઈમાં ખભેથી ખભા મિલાવીને અમારી સાથે રહેવા બદલ હું ભારતના નેતૃત્વનો, ભારતના લોકોનો આભાર માનું છું. આ માત્ર અમારું યુદ્ધ નથી, આ તમારું પણ યુદ્ધ છે અને આપણે તેને તમારા સમર્થન સાથે મળીને જીતીશું.

  • Follow us on: