મનમોહન સિંહના નિધન બાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યાદ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ ભારતના દિવંગત વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ સાથેના તેમના સંબંધોને યાદ કર્યા હતા. શુક્રવારે લાહોરમાં પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કસુરીએ કહ્યું કે ડો. સિંહને ઈતિહાસમાં એક એવી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે પોતાને સમર્પિત કર્યા હતા.


મનમોહન સિંહની ઈચ્છા

83 વર્ષીય કસૂરી નવેમ્બર 2002થી નવેમ્બર 2007 સુધી પાકિસ્તાનના વિદેશ મંત્રી હતા. તેમણે કહ્યું કે મનમોહન સિંહે સમગ્ર સાર્ક ક્ષેત્રમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવ્યું. આ દરમિયાન તેમણે મનમોહન સિંહનું એક નિવેદન યાદ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, "તેઓ એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે અમૃતસરમાં નાસ્તો, લાહોરમાં લંચ અને કાબુલમાં રાત્રિભોજન શક્ય બનશે."

મનમોહન સિંહના શાંતિના પ્રયાસો

કસુરીએ પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ એવી પ્રક્રિયાનો ભાગ બનવા માટે ભાગ્યશાળી છે, જેણે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાને વેગ આપ્યો હતો. પરિણામે બંને સરકારો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધ્યો હતો. મનમોહન સિંહના શાંતિ પ્રયાસોએ તેમને જમ્મુ અને કાશ્મીર વિવાદના ઉકેલ માટે સંભવિત બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં પણ મદદ કરી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રક્રિયા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને ભારતના અટલ બિહારી વાજપેયી પોતપોતાની સરકારોનું નેતૃત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ પ્રક્રિયાને આગળ વધારવા માટે ડૉ. મનમોહન સિંહે તેમાં દિલથી મહેનત કરી હતી.

મનમોહન સિંહે તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી

મનમોહન સિંહે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત તેમના જન્મસ્થળ ગાહની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યાં તેઓ 4 ધોરણ સુધી ભણ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહ તેમના જીવન દરમિયાન ક્યારેય પોતાના જન્મસ્થળ ગયા ન હતા. કસુરીએ કહ્યું કે તેમણે મનમોહન સિંહને ખાતરી આપી છે કે પાકિસ્તાનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.કસુરીએ આશા વ્યક્ત કરી હતી કે એક દિવસ દિવંગત વડાપ્રધાનના પત્ની ગુરશરણ કૌર અને તેમના પરિવારના અન્ય સભ્યો માટે મનમોહન સિંહના જન્મસ્થળની મુલાકાત લેવાનું શક્ય બનશે. આ ઉપરાંત કસુરીએ તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો તેમજ ભારતના લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.


  • Follow us on: