• ભારતમાં પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મુકાય છે
  • વિશ્વના દેશોમાં પોર્ટુગલમાં છૂટાછેડાનું પ્રમાણ 94 ટકા છે
  • ભારતમાં મોટાભાગના કિસ્સામાં પતિ-પત્ની જાતે જ અલગ રહે છે

પારિવારિક વ્યવસ્થાઓ અને મૂલ્યોની જાળવણી રાખતા દેશોમાં સમાવેશ પામેલો ભારત લગ્નસંબંધ સાચવી રાખવામાં દુનિયામાં સૌથી ટોચના ક્રમે છે. ભારતમાં છૂટાછેડાના કિસ્સા માત્ર એક ટકા જેટલા જ બને છે, જ્યારે ઘણા દેશ એવા છે જ્યાં લગ્ન તૂટવાની ટકાવારી 94 ટકા છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પ્રમાણે, એશિયાઈ દેશોમાં લગ્નસંબંધ પ્રમાણમાં ઓછા તૂટે છે, જ્યારે યુરોપ અને અમેરિકામાં પ્રમાણમાં વધારે પરિવારો વિખેરાઈ રહ્યા છે. અહેવાલ અનુસાર, ભારત પછી વિયેતનામનો નંબર આવે છે. અહીં 7 ટકા લગ્નસંબંધમાં જ છૂટાછેડાની સ્થિતિ ઊભી થાય છે. આ બે ઉપરાંત, તાજિકિસ્તાનમાં 10 ટકા, ઇરાનમાં 14 અને મેક્સિકોમાં 17 ટકા છૂટાછેડા થતા હોવાનું જોવા મળ્યું છે. છૂટાછેડાનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતા દેશોમાં ઇજિપ્ત (મિસર), દ. આફરિકા, બ્રાઝિલ, તુર્કી અને કોલંબિયાનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનો સમાવેશ નથી કરવામાં આવ્યો. જ્યારે જાપાનમાં છૂટાછેડાનું પ્રમાણ 35 ટકા હોવાનું કહેવાયું છે. આ ઉપરાંત, જર્મનીમાં 38 ટકા લગ્ન તૂટી જાય છે અને બ્રિટનનો આંકડો 41 ટકા છે. તો, ચીનમાં 44 ટકા લગ્ન એવાં છે જેમાં છૂટાછેડાની સ્થિતિ ઊભી થતી હોય. અમેરિકામાં છૂટાછેડાનું પ્રમાણ 45 ટકા છે, જ્યારે ડેનમાર્ક, દ. કોરિયા અને ઇટાલીમાં 46 ટકા લગ્નો લાંબું ટકી શકતાં નથી.

લગ્ન ટકાવી રાખવામાં આળસુ અમીર દેશો

લગ્નસંબંધ ટકાવી રાખવામાં સૌથી આળસુ દેશો યુરોપમાં સૌથી વધારે છે. પોર્ટુગલમાં તો દુનિયાના સૌથી વધારે

94 ટકા છૂટાછેડાના કેસ જોવા મળે છે. એના સિવાય સ્પેન બીજા ક્રમે છે, જ્યાં 85 ટકા લગ્ન ટકતાં નથી. આ ઉપરાંત લક્ઝમ્બર્ગમાં 79 ટકા લગ્ન જીવનભર નથી ટકતાં. તો, રશિયામાં પણ છૂટાછેડાનું પ્રમાણ 73 ટકા છે.

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું શા માટે છે?

ભારતમાં લગ્નસંબંધો ટકી રહેવા પાછળનું કારણ સાંસ્કૃતિક પાસું છે, જેમાં પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મુકાય છે. આ ઉપરાંત, છૂટાછેડાના મોટાભાગના કિસ્સા કાયદાકીય પ્રક્રિયામાં નથી પડતા, બલકે, પતિ-પત્ની જાતે જ અલગ રહેવા લાગે છે. આવું થતું હોવાના લીધે, ઘણી વાર આંકડા જાણવા નથી મળતા.