- પાકિસ્તાનનું સમર્થન કરતાં એર્દોગને કર્યા ભારતના વખાણ
- જો ભારતને UNSCનો સ્થાયી સભ્ય બનશે તો ગર્વ અનુભવશે:એર્દોગન
- ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય બનાવવામાં આવે
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સ્થાયી સભ્ય પર મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે જો ભારતને UNSCનો સ્થાયી સભ્ય બનાવવામાં આવશે તો તેમનો દેશ ગર્વ અનુભવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે તમામ બિન-સ્થાયી સભ્યોને પરિભ્રમણ દ્વારા સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક આપવી જોઈએ. મીડિયાકર્મીઓના સવાલોના જવાબ આપતાં તેમણે આ વાત કહી હતી.
પાકિસ્તાનનું સમર્થન કરતાં એર્દોગને કર્યા ભારતના વખાણ
હાલમાં સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યો છે જેમાં ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ 5 દેશોનો ઉલ્લેખ કરીને એક પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે આ 5 દેશો કરતાં દુનિયા ઘણી મોટી છે. તુર્કીના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ગર્વની લાગણી થશે. કાશ્મીર જેવા મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરનારા એર્દોગનના મોઢેથી આ વાતો સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે.
એર્દોગને શું કહ્યું?
તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો ભારત જેવા દેશને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવામાં આવે તો અમને ખૂબ ગર્વ થશે. જેમ તમે બધા જાણો છો વિશ્વ 5 દેશો કરતાં ઘણું મોટું છે. જ્યારે આપણે કહીએ છીએ કે વિશ્વ પાંચ દેશોથી મોટું છે તો અમારો અર્થ માત્ર અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા નથી. અમે સુરક્ષા પરિષદમાં માત્ર આ 5 દેશોને જ જોવા નથી માંગતા.
જોકે, એર્દોગને સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્યો માટે રોટેશનલ મેમ્બરશિપની વાત કરી હતી. હાલમાં યુએનએસસીના 15 સભ્યો છે જેમાંથી પાંચ કાયમી છે અને 10 રોટેશનલ સભ્યો છે. અમારો પ્રસ્તાવ છે કે આ તમામને કાયમી સભ્યપદ આપવામાં આવે. તમામ દેશોને એક પછી એક યુએનએસસીના સભ્ય બનવાની તક મળવી જોઈએ. હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં 195 સભ્ય દેશો છે. તેથી અમે એક રોટેશનલ મિકેનિઝમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં 195 દેશોને કાયમી સભ્ય બનવાની તક મળે છે.
ભારત વિરોધી રહ્યા છે એર્દોગન
હકીકતમાં તુર્કીને પાકિસ્તાન તરફી માનવામાં આવે છે. તે વિશ્વના કેટલાક દેશોમાં સામેલ છે જે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. જોકે, આ તમામ વિવાદો વચ્ચે પણ વડાપ્રધાન મોદીએ જી-20 સમિટ દરમિયાન છેલ્લા બે વર્ષમાં બીજી વખત એર્દોગન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદી છેલ્લે 2022માં સમરકંદમાં યોજાયેલી SCO સમિટમાં તુર્કીના રાષ્ટ્રપતિને મળ્યા હતા.