• પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદને લઈને ખુલ્લું પડ્યું
  • ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો
  • હાફિઝ સઈદની હાજરીમાં તમામ લોકોએ ઈદની ઉજવણી કરી

પાકિસ્તાન ફરી એકવાર આતંકવાદને લઈને ખુલ્લું પડ્યું છે. પાકિસ્તાન પોતાની જાતને બતાવવાની કોશિશ કરે છે કે તે ન તો આતંકવાદીઓને આશ્રય આપે છે અને ન તો તેમને રક્ષણ આપે છે પરંતુ જે હાલના ઘટસ્ફોટ સામે આવ્યા છે તે દર્શાવે છે કે પાકિસ્તાન હજુ પણ પહેલાની જેમ સફેદ જૂઠ બોલી રહ્યું છે. હકીકતમાં આ સમગ્ર મામલો ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ સાથે જોડાયેલો છે.

પાકિસ્તાનનો દાવો છે કે લશ્કર-એ-તૈયબાનો નેતા 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ લાહોરની જેલમાં કેદ છે પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. હાફિઝ સઈદ માત્ર કહેવા માટે જેલમાં છે પરંતું હાલમાં તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો છે. સઈદના સાથી બિસ્મિલ્લા ભટે પાકિસ્તાની મીડિયામાં આ વાતનો ખુલાસો કર્યો છે.

પાકિસ્તાની મીડિયામાં ખુલાસો થયો

બિસ્મિલ્લા ભટે પાકિસ્તાની મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે ગયા વર્ષે (2022) પાકિસ્તાનમાં પૂર આવ્યું હતું ત્યારે હાફિઝ સઈદે સિંધ પ્રાંતની મુલાકાત લીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન સરકારના કહેવા પ્રમાણે જેલમાં બંધ આતંકવાદીએ સિંધમાં ઈદની ઉજવણી કરી હતી.

પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ

બિસ્મિલ્લા ભટે કહ્યું હતું કે, હાફિઝ સઈદની હાજરીમાં બધાએ સાથે મળીને ઈદની ઉજવણી કરી હતી ઘણા બલિદાન આપવામાં આવ્યા. લોકોને માંસ આપવામાં આવ્યું અને ફંડ પણ આપવામાં આવ્યું હતું. હાફિઝ સઈદના સહયોગીના આ ખુલાસાથી પાકિસ્તાન સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. હવે સ્પષ્ટ છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હજુ પણ પાકિસ્તાનમાં આઝાદીથી ફરે છે અને ત્યાંની સરકારને તેની પરવા નથી.

હાફિઝ સઈદ 26/11નો માસ્ટરમાઈન્ડ

ઉલ્લેખનીય છે કે, 26/11ના મુંબઈ હુમલાનું કાવતરું હાફિઝ સઈદે ઘડ્યું હતું. આ હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહિત 193 લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ ભારતે પાકિસ્તાનને તેને સોંપવા કહ્યું હતું. હાફિઝ સઈદ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે મુંબઈ આતંકી હુમલા બાદ ડિસેમ્બર 2008માં જમાત-ઉત-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.


  • Follow us on: