ભૂતપૂર્વ સેના પ્રમુખે "યાશર" નામની નવી પાર્ટી બનાવી છે. તેમણે નેતન્યાહૂ સરકાર પર અરાજકતા અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
નેતન્યાહૂને સત્તા પરથી દૂર કરવાની તૈયારીઓ
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને સત્તા પરથી દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. નેતન્યાહૂ ડિસેમ્બર 2022થી સતત આ પદ પર રહ્યા છે. પરંતુ આગામી ચૂંટણીઓમાં તેમને દૂર કરવાની તૈયારી છે. નેતન્યાહૂના મુખ્ય હરીફ ગણાતા ભૂતપૂર્વ સેના પ્રમુખ ગાદી આઇઝેનકોટે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. નવી મધ્યવર્તી પાર્ટી યાશરના વડા ગાદી આઇઝેનકોટે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન એકતાવાદી નેતા બનવાનું અને વર્તમાન સરકારને સત્તા પરથી દૂર કરવાનું વચન આપ્યું હતું.
ચૂંટણી સ્લોગન લોન્ચ
"ઇઝરાયલે જીતવું જ જોઈએ" ના નારા સાથે, આઇઝેનકોટે આગામી ચૂંટણીઓને ઇઝરાયલની સુરક્ષા, એકતા અને આત્મા માટે નિર્ણાયક ગણાવી હતી. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, આ ઓક્ટોબર સરકારનો અંત લાવશે. આપણે ઇઝરાયલના ઇતિહાસમાં એક નવો અને ઘણુ સારુ પ્રકરણ શરૂ કરીશું. આપણે તેને સાથે મળીને લખીશું. ભૂતપૂર્વ આઇડીએફ ચીફ ઓફ સ્ટાફ ગાદી આઇઝેનકોટે બેની ગેન્ટ્ઝની બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટી છોડીને પોતાનો પક્ષ બનાવ્યો છે. તેમણે ઇઝરાયલની પરંપરા, વારસો અને તોરાહમાં મૂળ ધરાવતા એક એકીકરણ નેતા બનવાનું વચન આપ્યું છે.
નેતન્યાહૂ પર પ્રહાર
જોકે તેમણે નેતન્યાહૂનું નામ લીધું ન હતું, તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે વિભાજન વાવે છે અને રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ પગલાં લે છે. આ તે ઇઝરાયલીઓના મોઢા પર થપ્પડ છે જેઓ આ વતન માટે કામ કરે છે, સેવા કરે છે અને પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર છે. આઇઝેનકોટ સરકારના કાયદાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ નિવેદનને વિવાદાસ્પદ દરખાસ્તોના સંદર્ભ તરીકે જોવામાં આવી રહ્યું છે. જેમાં અતિ-રૂઢિચુસ્ત યહૂદીઓને લશ્કરી સેવામાંથી મુક્તિ આપવાનો પણ સમાવેશ થાય છે.
આઇઝેનકોટના વચનો
આઇઝેનકોટે 7 ઓક્ટોબરના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હત્યાકાંડની તપાસ માટે રાજ્ય કમિશન સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. હમાસ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં આશરે 1,200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા. તેમણે કહ્યું કે, કમિશનના તારણોનો ઉપયોગ ભૂતકાળમાંથી શીખવા અને ભવિષ્ય માટે તૈયારી કરવા માટે કરવામાં આવશે. તેમણે ઉત્તર અને દક્ષિણના પુનર્વસનને પણ તેમના પ્રાથમિક ધ્યેયોમાંના એક તરીકે ટાંક્યું અને યુદ્ધ દરમિયાન શારીરિક કે માનસિક રીતે ઘાયલ થયેલા દરેક વ્યક્તિની સંભાળ રાખવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં પ્રોપર્ટી ડીલથી કરોડોની કમાણી, સામે આવી ચોંકાવનારી વિગતો!
