બાંગ્લાદેશમાં 35 વર્ષ બાદ સ્પર્ધાત્મક રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ. ગુરુવારે સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મિર્ઝા ફખરુલ ઈસ્લામ આલમગીરને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં તેમને 255 મત મળ્યા છે, જ્યારે 11 પક્ષોના ગઠબંધનના ઉમેદવાર ઓલી અહમદને 88 મત મળ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને મિર્ઝા ફખરુ ઇસ્લામ આલમગીરને વિજેતા જાહેર કર્યા છે.

23માં રાષ્ટ્રપતિ બન્યા ફખરૂલ

બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુરુવારે બપોરે 2 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સંસદ સભ્યોએ પોતાના મતવિસ્તારમાંથી મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા દરમિયાન સાંસદોએ બેલેટ પેપર પર જરૂરી વિગતો નોંધ્યા બાદ પસંદગીના ઉમેદવારના નામની સામે મત આપ્યો હતો. નવા રાષ્ટ્રપતિ 21 ઓગસ્ટ, 2026ના રોજ શપથ લેશે. આ ચૂંટણીને બાંગ્લાદેશની લોકશાહી પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગૃહમંત્રી સલાઉદ્દીન અહમદે પણ ચૂંટણી પહેલા કહ્યું હતું કે લાંબા સમય બાદ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિની ચૂંટણી સ્પર્ધાત્મક રીતે યોજાઈ રહી છે.

12 સાંસદો બંને મોટા રાજકીય જૂથોથી અલગ

13મી નેશનલ પાર્લામેન્ટમાં કુલ 349 સભ્યો છે. જેમાં BNP પાસે 247 અને જમાતના નેતૃત્વવાળા 11 પક્ષોના ગઠબંધન પાસે 90 સભ્યો છે. બાકીના 12 સાંસદો બંને મોટા રાજકીય જૂથોથી અલગ છે. તેમાં BNPના સહયોગી પક્ષોના ત્રણ, ઈસ્લામી મૂવમેન્ટ બાંગ્લાદેશના એક અને આઠ અપક્ષ સાંસદોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં આ 12 મત રાજકીય રીતે ખાસ મહત્વ ધરાવતા હતા. ફખરુલ ઈસ્લામને BNP સિવાયના સાંસદોના મત મળ્યા હોય તો તેને તેમની વધતી રાજકીય સ્વીકૃતિ તરીકે જોવામાં આવી શકે છે. બીજી તરફ, ઓલી અહમદને ગઠબંધનની બહારથી મત મળવાથી વિપક્ષ પોતાની રાજકીય પકડનો સંદેશ આપી શકે તેમ હતો.

આ પણ વાંચો : UK: 6 વર્ષ બાદ બ્રિટન આવશે પ્રિન્સ હેરી અને મેગન, રાજવી પરિવારમાં વધશે તણાવ?