ફ્રાન્સના પેરિસ નજીક આવેલા બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પેરિસ મંદિર મહોત્સવના ભાગરૂપે યોજાયેલી આ ઉજવણીમાં યુરોપ તેમજ વિશ્વના વિવિધ દેશોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.

પેરિસમાં ઐતિહાસિક ક્ષણ

યુરોપની ધરતી પર મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ પાવન ઉપસ્થિતિમાં તેમની જન્મજયંતી ઉજવાઈ હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના બની રહી હતી.આ મહોત્સવ ‘Mahant Swami Maharaj: The Guru That Gives’ શીર્ષક હેઠળ યોજાયો હતો. જેમાં વિડીયો પ્રસ્તુતિઓ, સ્વાનુભાવો, કીર્તન-સંગીત અને સાંસ્કૃતિક નૃત્યો દ્વારા મહંત સ્વામી મહારાજના જીવનમાંથી મળતી 4 શાશ્વત ભેટ – આધ્યાત્મિક જ્ઞાન, સંપ-સુમેળ, નિઃસ્વાર્થ પ્રેમ અને ભગવાનની અનુભૂતિના માર્ગનું સુંદર નિરૂપણ કરાયું હતું.

BAPS ના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતી

કાર્યક્રમમાં જ્ઞાનવત્સલદાસ સ્વામીએ ગુરુહરિના જ્ઞાન અને સ્પષ્ટતા અંગે,  આદર્શજીવનદાસ સ્વામીએ ‘સંપ’ના ઉપદેશો અંગે તેમજ ઈશ્વરચરણદાસ સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી અને  નારાયણમુનિ સ્વામીએ તેમના નિઃસ્વાર્થ પ્રેમ વિશે વિચારો રજૂ કર્યા હતા. વિવેકસાગરદાસ સ્વામીએ તેઓ લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા તરફ કેવી રીતે દોરી જાય છે તે સમજાવ્યું હતું.પેરિસમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર પણ આ આદર્શોની ચિરંજીવ અભિવ્યક્તિ તરીકે ઉપસી આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં  મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત તમામ ભક્તો પર દિવ્ય આશીર્વાદ વરસાવ્યા હતા.

આ પણ વાંચો: 15 September Top News: યમુના બેસિન પ્રોજેક્ટ કરાર, ગાંધીનગરમાં WCEF 2026 નો પ્રારંભ અને ચારધામ હેલિકોપ્ટર સેવા શરૂ