ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડીલ અંગે કરાયેલા એલાન પછી ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિએ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી પણ કરી હતી. ત્યારબાદ જાહેર કરાયેલ ફેક્ટશીટમાં અમેરિકા દ્વારા શાંતિથી મોટા સુધારા કરવામાં આવ્યા છે, જે ભારત માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યા છે. સૌથી મોટો બદલાવ એ છે કે ડીલ હેઠળ ભારત દ્વારા 500 અબજ ડોલરના અમેરિકન માલની ખરીદી અંગેની શરતને “Committed” (પ્રતિબદ્ધતા)ના બદલે હવે “ખરીદવાનો ઈરાદો” તરીકે બદલવામાં આવી છે. એટલે કે હવે આ શરત બાધ્યકારી રહી નથી.

અમેરિકાએ શાંતિથી કર્યો સુધારો

વ્હાઇટ હાઉસ દ્વારા ફેક્ટશીટ જાહેર કર્યા પછી માત્ર એક જ દિવસે તેમાં શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યો. પહેલાં જેમાં ભારતે 500 અબજ ડોલરથી વધુના અમેરિકન ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી, તે હવે “ખરીદવાનો ઈરાદો” તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ ફેરફારથી ભારત પર કોઈ કાનૂની બાધ્યતા રહેશે નહીં, જે ભારત માટે મોટી રાહત સમાન છે.

અગાઉની ફેક્ટશીટમાં શું હતું?

India-US Trade Dealના ફ્રેમવર્ક જાહેર થયા બાદ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારત અમેરિકન ઔદ્યોગિક ઉત્પાદનો અને ખાદ્ય તથા કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પર ટેરિફ દૂર કરશે અથવા ઘટાડશે.

તેમાં વધુમાં ઉલ્લેખ હતો કે ભારત 500 અબજ ડોલરથી વધુના અમેરિકન ઊર્જા, આઈટી, કૃષિ, કોલસા સહિતના ઉત્પાદનો ખરીદવા પ્રતિબદ્ધ છે. હવે આ શબ્દોમાં ફેરફાર કરીને શરતને નરમ બનાવવામાં આવી છે.

દાળોને યાદીમાંથી બહાર

વ્હાઇટ હાઉસની વેબસાઈટ મુજબ એક વધુ મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. ડીલ હેઠળ આવનારી પ્રોડક્ટ કેટેગરીની યાદીમાંથી “કૃષિ” શબ્દ દૂર કરવામાં આવ્યો છે. કેટલીક વસ્તુઓ, જેમાં કેટલીક દાળ પણ સામેલ છે, તેને ટેરિફ ઘટાડાની યાદીમાંથી બહાર રાખવામાં આવી છે.

આ ફેરફારોને કારણે ભારત માટે આ ટ્રેડ ડીલ વધુ અનુકૂળ અને રાહતદાયક બની છે.

આ પણ વાંચો: Weather Update: શું સમય પહેલા આવશે ઉનાળો? યુપી-બિહારમાં ધુમ્મસનું એલર્ટ