વર્ષ 2020માં ગાલેવાન ખીણ ખાતે સર્જાયેલી હિંસક અથડામણ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. નવી દિલ્હીમાં યોજાનાર બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે તેઓ 12 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગાલેવાન સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને દ્વિપક્ષીય સંબંધો અત્યંત નીચલા સ્તરે પહોંચી ગયા હતા, ત્યારે આ પ્રસ્તાવિત મુલાકાત સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલા લશ્કરી અવરોધને ઉકેલવા અને સંબંધોને સામાન્ય બનાવવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
છ વર્ષના લાંબા અંતરાલ બાદ શી જિનપિંગ ભારત આવશે
શી જિનપિંગ અગાઉ વર્ષ 2019ના ઓક્ટોબર મહિનામાં ભારત આવ્યા હતા, અને આ મુલાકાત લગભગ છ વર્ષના લાંબા અંતરાલ પછી થવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત યાત્રાને સફળ બનાવવા માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે મંત્રણાઓ વેગવંતી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન વચ્ચે સરહદી બાબતો પર 'કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન' (WMCC) ની બેઠક ટૂંક સમયમાં જ મળવાની છે, ત્યારબાદ બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે પણ મહત્વની ચર્ચાઓ થશે. એટલું જ નહીં, સંબંધોમાં બરફ ઓગાળવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પણ ટૂંક સમયમાં ચીનની સત્તાવાર મુલાકાતે જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
