પાકિસ્તાનના મુરીદકે વિસ્તારમાં રવિવારે તહરીક એ લબ્બૈક પાકિસ્તાનના પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ. આ અથડામણ એવા સમયે થઇ જ્યારે TLP ના અનેક સમર્થકો ગાઝાના સમર્થનમાં ઇસ્લામાબાદ તરફ કૂચ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓનું લક્ષ્ય અમેરિકી દૂતાવાસ બહાર પ્રદર્શન કરવાનું હતું. પાકિસ્તાનનુ મુરીદકે આતંકવાદી હાફીઝ સઇદનું ગઢ મનાય છે. અહીં જ હાફીઝની આતંકી મદરેસા છે.


પોલીસ અને TLP સમર્થકો વચ્ચે ઘર્ષણ

સૂત્રો અનુસાર જેવો TLP નો કાફલો મુરીદકે પહોંચ્યો, પોલીસ અને રેન્જર્સએ રસ્તો રોકવાની કોશિશ કરી જેનાથી સ્થિતિ બેકાબૂ થઇ ગઇ. ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કર્યો. ઘણા પ્રદર્શનકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરીને અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડીને બદલો લીધો. અથડામણો બાદ, વહીવટીતંત્રે ઇસ્લામાબાદ અને લાહોર વચ્ચેના ઘણા માર્ગો બંધ કરી દીધા છે. રાજધાનીમાં એલર્ટ અપાયુ છે. ઇન્ટરનેટ સેવાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. ગાઝાના સમર્થનમાં આ કૂચ હવે પાકિસ્તાનમાં રાજકીય અને સુરક્ષા સંકટનું કેન્દ્ર બની ગઈ છે.

TLPએ વિશ્વાસ ઘાતનો લગાવ્યો આરોપ

તહેરિક-એ-લબ્બૈકે સરકાર અને વહીવટ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. TLPનું કહેવું છે કે સરકારે ગાઝા માટે પરવાનગી આપી હતી. પરંતુ જ્યારે પ્રદર્શનકારીઓ ફજરની નમાજ વાંચવા બેઠા ત્યારે લાઠીચાર્જ થયો. તહેરિક-એ-લબ્બૈકના કારણે ઇસ્લામાબાદ અને લાહોર ત્રણ દિવસથી ઠપ છે. ઘણા શહેરોમાં કલમ 144 લાગુ છે.

કોણ છે તહરીક-એ-લબ્બૈક?

ઉલ્લેખનીય છે કે તહરીક-એ-લબ્બૈકની સ્થાપના 2015 માં થઈ હતી અને તે એક કટ્ટરપંથી ઇસ્લામિક પક્ષ છે. તેના સ્થાપક અમીર મૌલાના ખાદીમ હુસૈન છે. હુસૈનને સુન્ની સંપ્રદાયના નેતા માનવામાં આવે છે. આ સંગઠને 2023 માં ઇમરાન ખાનની સરકારને ઉથલાવી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કટ્ટરપંથી સંગઠન શાહબાઝ શરીફની પાર્ટીની નજીક માનવામાં આવે છે.


  • Follow us on: