અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના આક્રમક ટેરિફ નિર્ણયોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં United States Supreme Court દ્વારા ટ્રમ્પના “રેસિપ્રોકલ ટેરિફ”ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા બાદ, તેમણે તરત જ એક નવો નિર્ણય લીધો. ટ્રમ્પે પહેલા તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદ્યો અને માત્ર એક દિવસમાં જ તેને વધારીને 15% કરી દીધો. આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે – આનો ભારત પર શું અસર પડશે? નાણાકીય નિષ્ણાતો અને માર્કેટ વિશ્લેષકોના મતે, ભારત માટે આ નિર્ણય ખાસ નુકસાનકારક સાબિત થવાનો નથી.

નિષ્ણાત શું કહે છે?

નિષ્ણાતોના મતે, ટ્રમ્પનો 15% ટેરિફ ભારત માટે ચિંતાજનક નથી. કારણ કે અમેરિકા દ્વારા લગાવવામાં આવતો આ ટેરિફ લગભગ તમામ દેશો પર સમાન રીતે લાગુ થઈ રહ્યો છે. અગાઉ વિશ્વના 90થી વધુ દેશો પર 10% ટેરિફ લાગુ હતો અને હવે મોટાભાગના દેશો 15% સુધી પહોંચી જશે. તેમાં ઓસ્ટ્રેલિયા, યુકે, સિંગાપોર અને યુએઈ જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યારે બધા દેશો પર સમાન દર લાગુ થાય છે, ત્યારે ભારત પોતાનો સ્પર્ધાત્મક ફાયદો ગુમાવતું નથી.

ભારતને સીધી અસર કેમ ઓછી છે?

નિષ્ણાતો અનુસાર, આ ટેરિફ મૂળભૂત રીતે અમેરિકાની આંતરિક કર નીતિનો ભાગ છે. તેનો હેતુ અમેરિકન બજારમાં આવક વધારવાનો છે, કોઈ એક દેશને નિશાન બનાવવાનો નથી. ભારત પહેલાથી જ આશરે 18% ટેરિફ માટે માનસિક રીતે તૈયાર હતું. હાલમાં જો દર 15% છે, તો તે અપેક્ષા કરતાં ઓછો જ ગણાય. 15% ટેરિફ કાનૂની મર્યાદા હેઠળ છે અને આ વ્યવસ્થા હાલ માત્ર 150 દિવસ માટે માન્ય છે. તેને આગળ વધારવા માટે ટ્રમ્પને કોંગ્રેસની મંજૂરી લેવી પડશે, જે સહેલી બાબત નથી.

બજારો માટે સંદેશ શું છે?

શેર બજાર અને નિકાસ ક્ષેત્ર માટે આ સમાચાર બહુ મોટા નકારાત્મક સંકેત નથી. જો ભવિષ્યમાં ભારત માટે ટેરિફ ફરી 18% સુધી જાય તો પણ, બજારોએ જે ધારણા બનાવી હતી તેનાથી પરિસ્થિતિ બહુ અલગ નહીં રહે. એટલે કહીએ તો, ટ્રમ્પના 15% વૈશ્વિક ટેરિફથી ભારતને તાત્કાલિક કે મોટું નુકસાન થવાની શક્યતા ઓછી છે. જ્યારે તમામ દેશો માટે નિયમ એકસરખો હોય, ત્યારે ભારતની સ્થિતિ સ્થિર જ રહે છે.

આ પણ વાંચો : Hindus education in USA : અમેરિકામાં સૌથી વધુ શિક્ષિત ધાર્મિક સમુદાય કયો?