15 ઓગસ્ટ ભારત માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે. જ્યારે આખો દેશ આ દિવસે સ્વતંત્રતાનો આનંદ માણે છે. ત્યારે અન્ય દેશો એવા પણ છે જેમના માટે 15મી ઓગષ્ટ આપણી જેમ ખૂબ ખાસ છે. ભારત સિવાય, વિશ્વમાં ઘણા દેશો છે જે આ તારીખે તેમની સ્વતંત્રતાની ઉજવણી કરે છે. ભારત જ નહીં, એક મુસ્લિમ દેશ પણ આ યાદીમાં સામેલ છે.
15મી ઓગસ્ટની ઉજવણી
15મી ઓગસ્ટની ઉજવણીમાં ભારત સાથે દક્ષિણ કોરિયા, કોંગો, બહેરીન જેવા દેશોનો સમાવેશ થાય છે. જે આ દિવસને સ્વતંત્રતા તરીકે ઉજવે છે. દક્ષિણ કોરિયા, જાપાની શાસનથી મુક્તિ દિવસની ઉજવણી કરે છે. દક્ષિણ કોરિયા 15 ઓગસ્ટને ગ્વાંગબોકજોએલ એટલે કે પ્રકાશ પરત ફરવાનો દિવસ માને છે. વર્ષ 1945ના રોજ કોરિયાને જાપાની શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. આ દિવસે, દેશભરમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાસ સમારોહ યોજવામાં આવે છે. આ દિવસ કોરિયનો માટે તેમના સ્વતંત્ર અસ્તિત્વની ઉજવણી કરવાનો દિવસ છે. ઉત્તર કોરિયા પણ 15મી ઓગસ્ટના રોજ ચોગુખેબાંગ-ઇલને જાપાની શાસનથી સ્વતંત્રતા તરીકે માને છે. જો કે, અહીં ઉજવણી સંપૂર્ણપણે રાજ્ય પ્રાયોજિત છે. જેમાં સેના પરેડ, દેશભક્તિ ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. આફ્રિકન દેશ કોંગોએ 15મી ઓગસ્ટ 1960ના રોજ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી હતી. તેને કોંગો રાષ્ટ્રીય દિવસ કહેવામાં આવે છે. આ સ્વતંત્રતાનો દિવસ કોંગોમાં પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણો સાથે ઉજવવામાં આવે છે. લિક્ટેંસ્ટાઇનને 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા મળી ન હતી. પણ આ દિવસ તેનો રાષ્ટ્રીય દિવસ છે. આ દિવસે, દેશના શાસક રાજકુમાર સંબોધન કરે છે અને લોકો અનેક પ્રકારના સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે.
યુદ્ધના અંતના સ્મારક દિવસ તરીકે ઉજવણી
ભારતની જેમ, બહેરીન પણ 15મી ઓગસ્ટના રોજ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. બહેરીન પણ એક મુસ્લિમ દેશ છે. 15 ઓગસ્ટ 1971ના રોજ તેને બ્રિટિશ શાસનથી ઔપચારિક રીતે સ્વતંત્રતા મળી. જોકે તેના સ્વતંત્રતા દસ્તાવેજ પર એક દિવસ પહેલા 14 ઓગસ્ટના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટને અહીં સત્તાવાર રીતે સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે. જાપાનમાં, 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નહીં પરંતુ યુદ્ધના અંતના સ્મારક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1945માં આ દિવસે, સમ્રાટ હિરોહિતોએ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના શરણાગતિનું એલાન કર્યું હતું. જેના કારણે યુદ્ધનો અંત આવ્યો હતો. આ દિવસે, જાપાનમાં શાંતિ અને સ્મૃતિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.













