મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. એલપીજી (LPG) ભરેલા બે મોટા વહાણો ભારત તરફ આગળ વધી રહ્યા છે, જે દેશના ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ‘જગ વસંત’ અને ‘પાઈન ગેસ’ નામના આ બંને LPG વહન કરનારા જહાજોમાં કુલ મળીને 92,612.59 મેટ્રિક ટન LPG ભરેલો છે.


જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ કર્યું પાર

મળતી માહિતી મુજબ આ બંને જહાજો આજે સાંજે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પાર કરી ચૂક્યા છે. આ માર્ગ વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે, ખાસ કરીને હાલની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આ જહાજો 26થી 28 માર્ચ દરમિયાન ભારત પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમની એન્ટ્રી બાદ દેશના વિવિધ વિસ્તારોમાં LPG સપ્લાય વધુ સ્થિર બનશે અને ગેસની અછતનો ભય ઓછો થશે.

60 ભારતીય નાવિકો સવાર

ખાસ વાત એ છે કે આ બંને જહાજોમાં કુલ 60 ભારતીય નાવિકો સવાર છે, જેમાંથી ‘જગ વસંત’ પર 33 અને ‘પાઈન ગેસ’ પર 27 નાવિકો કાર્યરત છે. હાલ તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જે તેમના પરિવારો માટે પણ મોટી રાહતની વાત છે. આ પરિસ્થિતિમાં આ જહાજોની સલામત યાત્રા અને સમયસર ભારત પહોંચવું દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Iran War: 24 દિવસમાં 2604 લોકોના મોત, જાણો કયા દેશમાં કેટલો છે મૃત્યાંક?


  • Follow us on: