નેપાળમાં ભોટેકોશી નદીના વિનાશક પૂરના આઘાત વચ્ચે હવે વધુ એક ગંભીર કુદરતી સંકટે ચિંતા વધારી દીધી છે. નેપાળ-ચીન સરહદ નજીક ચોચેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીઓના સંગમ પર એક વિશાળ 'અવરોધ તળાવ' (Barrier Lake) રચાયું છે. ચીનના જળ સંસાધન મંત્રાલયે આ કુદરતી તળાવ અંગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 72 કલાકને અત્યંત જોખમી તથા મહત્વપૂર્ણ ગણાવ્યા છે.
2 થી 3 મિલિયન ઘન મીટર પાણી એકઠું થયું
વૈજ્ઞાનિકો અને જળ નિષ્ણાતોના અંદાજ મુજબ, આ કુદરતી બંધ પાછળ આશરે 2 થી 3 મિલિયન ઘન મીટર પાણી એકઠું થઈ ચૂક્યું છે. જો પાણીનું દબાણ વધવાથી આ બંધ તૂટે છે, તો તે ગ્લોફ (જળાશય વિસ્ફોટ પૂર) જેવી ભયાનક સ્થિતિ સર્જી શકે છે. આ સ્થિતિમાં પાણી ધીમે-ધીમે વધવાને બદલે અચાનક ખૂબ જ ઝડપથી નીચે તરફ વહેશે, જે પોતાની સાથે મોટા ખડકો, માટી અને કાટમાળ વહાવીને ભારે તારાજી સર્જી શકે છે.
ભારતીય વિસ્તારો પર પણ સંકટના વાદળો
આ સ્થળ ભારતની સરહદથી સીધું જોડાયેલું નથી, પરંતુ તેની નદી વ્યવસ્થા ભારત સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આ તળાવ અને નદીઓનો સંગમ ભારતીય સરહદથી ઉત્તરમાં આશરે ૧૨૦ થી ૧૪૦ કિલોમીટરના અંતરે આવેલો છે. અહીંથી ઉદ્ભવતું પાણી નેપાળમાંથી વહીને અંતે ગંડક (નારાયણી) નદી દ્વારા ભારતના બિહાર રાજ્યમાં પ્રવેશ કરે છે. આ કારણોસર, ભલે આ તળાવ ચીન-નેપાળ સરહદે હોય, પરંતુ તેનાથી નીચાણવાળા ભારતીય વિસ્તારો પર પણ સંકટના વાદળો ઘેરાયા છે.
આગામી 72 કલાક ભારત માટે મહત્વના
આગામી 72 કલાક દરમિયાન શું અપેક્ષિત છે તે અંગે ચીન અને નેપાળનું તંત્ર રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ તળાવ માત્ર ઓવરફ્લો થશે કે આખો બંધ અચાનક તૂટી જશે. જો પાણી સામાન્ય રીતે ઓવરફ્લો થાય તો નીચલા વિસ્તારોને તૈયારીનો સમય મળી શકે છે, પરંતુ જો બંધ અચાનક તૂટે તો અતિ ટૂંકા સમયમાં પૂરનું મોજું ત્રાટકી શકે છે.
ભારત એલર્ટ મોડ પર
આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ચીન અને નેપાળના સંબંધિત વિભાગો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. નદી પ્રણાલીના માર્ગમાં આવતા નેપાળ અને ભારતના નીચાણવાળા તથા દરિયાકાંઠાના વિસ્તારોને પણ અગમચેતીના ભાગરૂપ સાવધ કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ મોટી જાનહાનિ ટાળી શકાય.
આ પણ વાંચોઃ Nepal Flood: નેપાળમાં મહાવિનાશ, મૃત્યુઆંક 392એ પહોંચ્યો,1500 લોકો હજુ પણ ગુમ