પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન વચ્ચે શનિવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ મહત્વપૂર્ણ ચર્ચામાં ઈરાની રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું હતું કે, જો આ ક્ષેત્રમાં જંગ રોકવી હોય તો અમેરિકા અને ઈઝરાયલે તેમની આક્રમકતા તાત્કાલિક બંધ કરવી પડશે અને ભવિષ્યમાં આવા હુમલા નહીં થાય તેની ગેરંટી આપવી પડશે.
હુમલાની નિંદા અને શાંતિની અપીલ
વડાપ્રધાન મોદીએ આ વાતચીત દરમિયાન ઉર્જા ક્ષેત્રના પાયાના માળખા પર થઈ રહેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુદ્ધનો રસ્તો કોઈના પણ હિતમાં નથી અને તમામ પક્ષોએ વહેલી તકે શાંતિ તરફ ડગલાં માંડવા જોઈએ. તેમણે ફારસી ખાડીમાં સુરક્ષિત જળમાર્ગ અને નૌકાવિહારની સ્વતંત્રતા જાળવવા પર પણ ભાર મૂક્યો હતો.
ઈરાને અમેરિકા-ઈઝરાયેલ પર સાધ્યું નિશાન
ઈરાની દૂતાવાસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ પેજેશકિયાને વડાપ્રધાન મોદીને જણાવ્યું કે, ઈરાને આ યુદ્ધ શરૂ કર્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે, અમેરિકા અને ઈઝરાયેલે કોઈપણ કાયદાકીય આધાર વગર ઈરાન પર હુમલા કર્યા છે, જેમાં માસૂમ નાગરિકો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે.
તેમણે અમેરિકી પ્રમુખ ટ્રમ્પના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે, આ હુમલા ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા માટે હતા. ઈરાને દાવો કર્યો કે, તેઓ પરમાણુ હથિયારોના કટ્ટર વિરોધી છે અને ઈઝરાયલ જ આખા વિસ્તારમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે.
બ્રિક્સ પાસે મદદની માગ
ઈરાની રાષ્ટ્રપતિએ આ તકે 'બ્રિક્સ' સંગઠન પાસે પણ અપીલ કરી હતી કે, તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સ્વતંત્ર ભૂમિકા ભજવે. તેમણે આશા વ્યક્ત કરી કે, ભારત જેવા મિત્ર દેશો આ સંઘર્ષને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો - Iran War: ઈરાનનો 4000 કિમી દૂર અમેરિકી સૈન્ય બેઝ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો, ટ્રમ્પના હાજા ગગળ્યા