મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને એક એવો દાવો કર્યો છે જેણે વોશિંગ્ટનથી લઈને જેરુસલેમ સુધી હલચલ મચાવી દીધી છે. અમેરિકા સાથે શાંતિ વાટાઘાટોના બીજા તબક્કાની શક્યતાઓ વચ્ચે, ઈરાનના સંરક્ષણ મંત્રાલયે સનસનીખેજ નિવેદન આપતા કહ્યું છે કે 40 દિવસના યુદ્ધ દરમિયાન તેમણે પોતાની મિસાઈલ ક્ષમતાનો માત્ર એક નાનો હિસ્સો જ વાપર્યો છે. તેમની અસલી અને અત્યાધુનિક મિસાઈલો હજુ પણ સુરક્ષિત છે.

રશિયાના દાવા સાચો પડી શકે છે

થોડા સમય પહેલા રશિયાએ (ક્રેમલિન) સંકેત આપ્યો હતો કે ઈરાન પાસે એવી રહસ્યમય મિસાઈલો હોઈ શકે છે જેનાથી દુનિયા હજુ અજાણ છે. ઈરાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ રેઝા તલાઈ-નિકે આ વાતને પુષ્ટિ આપતા જણાવ્યું કે, સંઘર્ષ દરમિયાન જાણી જોઈને મોટી મિસાઈલ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેમણે દાવો કર્યો કે સીઝફાયર પહેલા સુધી ઈરાની સેનાએ ઈઝરાયેલના આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખ્યું હતું.

ટ્રમ્પ અને નેતન્યાહુના ખોટા દાવા

આ નિવેદન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ માટે આંચકા સમાન છે, કારણ કે તેઓ સતત દાવો કરી રહ્યા હતા કે ઈરાનની મિસાઈલ સિસ્ટમને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી છે. ઈરાનનું કહેવું છે કે તેઓ ઘરેલું સ્તરે 1,000 થી વધુ પ્રકારના હથિયારોનું ઉત્પાદન કરે છે અને લાંબા સમય સુધી યુદ્ધ લડવા માટે સક્ષમ છે.

ઈરાન યુદ્ધનું પાસું પલટી શકે છે.

ઈરાની અધિકારીઓના મતે, અત્યાર સુધીના હુમલાઓ માત્ર એક વળતો જવાબ હતા, પરંતુ દેશની અસલી સૈન્ય તાકાત હજુ અકબંધ છે. જનરલ તલાઈ-નિકે સુરક્ષા દળો અને જનતાની ભાગીદારીને "સામાજિક ચમત્કાર" ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાનનો આ દાવો માત્ર કહેવા માટે છે કે પછી ખરેખર ઈરાન પાસે કોઈ એવું હથિયાર છે જે યુદ્ધનું પાસું પલટી શકે છે.

આ પણ વાંચો: G7 Meeting: જૂનમાં મળી શકે છે PM Modi અને ટ્રમ્પ! G7 સમિટ માટે ફ્રાન્સમાં હશે બંને નેતા