નેપાળની નવી સત્તા પર આવેલી બાલેન શાહ સરકાર હાલમાં ભારે રાજકીય અને સામાજિક મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સરકાર દ્વારા લેવામાં આવેલા એક આર્થિક નિર્ણયે સરહદી વિસ્તારોમાં રહેતા લાખો લોકોના જીવન પર સીધી અસર કરી છે, જેના કારણે નેપાળના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનોની જ્વાળા ફાટી નીકળી છે.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

બાલેન શાહ સરકારે 1 એપ્રિલથી એક નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ ભારતમાંથી આયાત થતા 100 નેપાળી રૂપિયાથી વધુની કિંમતના કોઈપણ સામાન પર કસ્ટમ ડ્યુટી (સીમા શુલ્ક) લાદવામાં આવી છે. અગાઉ, સ્થાનિક અધિકારીઓ નાની-મોટી ચીજવસ્તુઓ જેવી કે ખાંડ, કઠોળ, શાકભાજી કે કપડાં પર છૂટછાટ આપતા હતા. પરંતુ હવે સરકારના આદેશથી સશસ્ત્ર પોલીસ દળ (APF) અને મહેસૂલ ટીમોએ સરહદ પર કડક દેખરેખ શરૂ કરી છે. સામાન્ય ખરીદી પર પણ ટેક્સ લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભારત પર નિર્ભરતા અને જનતાની હાલાકી

નેપાળનો તરાઈ વિસ્તાર, ખાસ કરીને બીરગંજ, આ નિર્ણયનો સૌથી વધુ ભોગ બન્યો છે. આ વિસ્તારના લોકો દૈનિક જરૂરિયાતો માટે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે. મધેસી સમુદાય અને સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે આ નિર્ણય એક 'અઘોષિત નાકાબંધી' સમાન છે. નાની એવી ઘરગથ્થુ વસ્તુઓ લાવવા માટે પણ લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે અને વધારાનો કર ચૂકવવો પડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે લૂંટ સમાન છે. આનાથી માત્ર નેપાળી નાગરિકો જ નહીં, પરંતુ બિહાર અને ઉત્તરાખંડના સરહદી વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડી છે.

રાજકીય ઘેરાબંધી અને સરકારનો બચાવ

વિરોધ પક્ષ નેપાળી કોંગ્રેસે આ પગલાને 'સામાજિક ન્યાય વિરુદ્ધ' ગણાવી સરકારની આકરી ટીકા કરી છે. કાઠમંડુ સુધી પહોંચેલા આ વિરોધ પ્રદર્શનોમાં શાસક પક્ષના કેટલાક સાંસદોએ પણ છૂટછાટની માંગ કરી છે. બીજી તરફ, સરકારનો તર્ક છે કે દેશની વધતી જતી વેપાર ખાધને ઘટાડવા, દાણચોરી અટકાવવા અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે આ કડક અમલ જરૂરી છે. અધિકારીઓ માને છે કે આનાથી વિદેશી હૂંડિયામણના ભંડાર પરનું દબાણ ઘટશે.

  • Follow us on: