નેપાળમાં વડાપ્રધાન સુશીલા કાર્કીએ સોમવારે મંત્રીમંડળનુ વિસ્તરણ કર્યુ છે. મંત્રીના રૂપમાં રામેશ્વર ખનાલ,ઓમપ્રકાશ અર્યાલ અને કુલમાન ઘીસિંગને શપથ અપાવી. ખનાલને નાણામંત્રી તો અર્યાલને ગૃહમંત્રી અને કુલમાન ઘીસિંગને ઉર્જામંત્રી બનાવ્યા છે.
અન્ય જવાબદારીઓ પણ અપાઇ
અર્યાલ પાસે કાયદા મંત્રાલયની વધારાની જવાબદારી પણ રહેશે. ઘીસિંગની પાસે પણ ઉર્જા સિવાય ભૌતિક માળખાગત સુવિધા, પરિવહન અને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી રહેશે. ખના લ આર્થિક સુધારા સૂચન પંચના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ભૂતપૂર્વ સચિવ પણ રહી ચૂક્યા છે. અર્યાલ વ્યવસાયે વકીલ છે. ઘીસિંગ નેપાળ વીજળી સત્તામંડળના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ઓલી સરકાર દરમિયાન તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. પીએમ પદ માટે તેમનું નામ પણ ચર્ચામાં હતું.
5 માર્ચ સુધી નવી ચૂંટણી કરાવવાનો પડકાર
આ પહેલા રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે શુક્રવાર મોડી રાત્રિમાં કાર્કીને વચગાળાની સરકારના મુખિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમણે રવિવારે ઔપચારિક રીતે પદભાર સંભાળ્યો. મંત્રીમંડળનું વિસ્તરણ પહેલાં રવિવારે થવાનુ હતુ. તેમના વ્યસ્ત કાર્યક્રમને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યુ છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કી પાસે 5 માર્ચ સુધી નવી ચૂંટણીઓ કરાવવા અને વડા પ્રધાન પદ ખાલી કરવા માટેનો સમય છે,
વિનમ્રતા અને જવાબદારીનો એક મોટો સંદેશ
પદભાર સંભાળ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં તેમણે વિનમ્રતા અને જવાબદારીનો દ્રઢ સંદેશ આપ્યો અને કહ્યું કે તેમનુ પ્રશાસન સત્તાનો આનંદ માણવા માટે નથી, પણ દેશમાં સ્થિરતા લાવવા, ન્યાયની માંગ પૂરી કરવા અને છ મહિનાની અંદર નવી ચૂંટણીઓ માટે તૈયારી કરવા માટે છે. સિંહદરબાર ખાતે પત્રકાર પરિષદમાં કાર્કીએ કહ્યું, હું અને મારી ટીમ સત્તાનો સ્વાદ લેવા માટે આવ્યા નથી. અમે છ મહિનાથી વધુ નહીં રોકાઈએ. અમે નવી સંસદને જવાબદારી સોંપી દઈશું. તમારાથી સહકાર મળ્યા વગર અમારી સફળતા શક્ય નથી.










