રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને યુનુસના 18 મહિનાના શાસન વિશે સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે.
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને યુનુસ સરકારનો કર્યો પર્દાફાશ
શેખ હસીનાના ગયા પછી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રાજકીય તોફાન શાંત થવાના કોઈ સંકેત નથી. યુનુસે તેમના 18 મહિનાના શાસન દરમિયાન દેશને જે દુર્દશામાં લાવ્યા તે હવે ગંભીર રાજકીય કટોકટીમાં ફેરવાયુ છે. તાજેતરમાં, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શહાબુદ્દીન અને દેશની બીજી સૌથી મોટી શક્તિ વચ્ચે મોટી તિરાડ પડી છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીને યુનુસ સરકારનો પર્દાફાશ કરવાનું શરૂ કરતાં જ જમાત-એ-ઇસ્લામી ગુસ્સે ભરાઈ છે.
રાષ્ટ્રપતિને કરાયા હતા વર્ચ્યુઅલ હાઉસ એરેસ્ટ
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને અનેક મુલાકાતોમાં યુનુસના કાર્યોનો ખુલાસો કર્યો છે. તેઓ યુનુસના શાસનથી એટલા નાખુશ હતા કે તેમણે ચૂંટણી પછી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. હવે, તારિકના આગમન સાથે, તેમણે ફરી એકવાર 18 મહિના સુધી સહન કરેલા ત્રાસ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. રાષ્ટ્રપતિ દાવો કરે છે કે તેમને વર્ચ્યુઅલ હાઉસ એરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમને તબીબી સારવાર માટે દેશ છોડવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી.
શેખ હસીનાના રાજીનામાં અંગે ખુલાસો
આ સમગ્ર વિવાદનું મૂળ 5 ઓગસ્ટ, 2024 ની તારીખ છે, જ્યારે શેખ હસીના દેશ છોડીને ગયા હતા. તે સમયે, રાષ્ટ્રપતિએ ટીવી પર જાહેરાત કરી હતી કે તેમણે રાજીનામું આપી દીધું છે, પરંતુ હવે વાર્તા બદલાઈ ગઈ છે. શહાબુદ્દીન હવે દાવો કરી રહ્યા છે કે તેમની પાસે હસીનાના રાજીનામાનો કોઈ લેખિત પુરાવો નથી. તેમણે ફક્ત સાંભળ્યું હતું કે તેમણે રાજીનામું આપ્યું છે.
અમેરિકા અને યુનુસનો ગુપ્ત વેપાર સોદો
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને ખુલાસો કર્યો છે કે, યુનુસ સરકારે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ગુપ્ત વેપાર કરાર કર્યો છે. આ કરાર એટલી ઉતાવળમાં કરાયો હતો કે, રાષ્ટ્રપતિને પણ જાણ કરવામાં આવી ન હતી. આ સોદો નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ હેઠળ છુપાવાયો હતો. રાષ્ટ્રપતિ કહે છે કે બંધારણીય રીતે, તેમને આની જાણ હોવી જોઈતી હતી, પરંતુ યુનુસે તેમને અંધારામાં રાખ્યા હતા. બાંગ્લાદેશમાં ચર્ચા છે કે, શું મોહમ્મદ યુનુસ ખરેખર અમેરિકાની કઠપૂતળી છે અને શું યુનુસે આ મિલીભગત છુપાવવા માટે જમાત-એ-ઇસ્લામી સાથે સોદો કર્યો છે?.
આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: નવી ટેક્નોલોજી મારફતે ભારતના કયા ક્ષેત્રમાં આવશે પરિવર્તન?, જાણો













